Connect Gujarat
બ્લોગ

હાસ્ય લેખક વિનોદ ભટ્ટની ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથેની યાદોંકી બારાત

હાસ્ય લેખક વિનોદ ભટ્ટની ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથેની યાદોંકી બારાત
X

ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ સિધ્ધાર્થ રાંદેરિયાએ તારીખ ૨૬મી ડિસેમ્બર ૨૦૧૬ની રાતે પંડિત ઓમકારનાથ કલાભવન, ભરૂચમાં સંવાદ થિયેટરનો દીપ પ્રગટાવેલો જે આજે રવિવાર તારીખ ૧૦મી જુન ૨૦૧૭ની રાતે ઝગમગી ઉઠયો. "ઈદમ તૃતીયમ્" કટાર લેખક વિનોદ ભટ્ટ (ઉ.વ.૮૩) અને "પરણીને "પસ્તાય તો કહેતો નહિં હઝલના રચિયતા ડો.રઈશ મનીઆરે પ્રેક્ષકોને પુરી ૧૫૦ મિનિટ જકડી રાખ્યા, પેટ પકડીને હસાવ્યા.શુભારંભ દીપ પ્રગટાવ્યો ડો.નરોત્તમ વાળંદ, ડો.તરુણ બેંકર, ડો.મહિપતસિંહ રાઉલજી, આચાર્ય મહેશ ઠાકર, ઋષિ દવે અને માનનીય વિનોદ ભટ્ટ અને ડો.રઈશ મનીઆરે.

અઢી કલાકના કાર્યક્રમનું અક્ષરે અક્ષરનું રીપોર્ટીંગ મેં લખ્યું છે એમાંથી ગુજરાતના ચાર મુખ્યમંત્રીઓ વિશે વિનોદ ભટ્ટે કરેલી વાતો આ બ્લોગમાં વાંચો.

( ૧ ) માધવસિંહ સોલંકી :- વિનોદભટ્ટના શબ્દોમાં માધવસિંહ સોલંકીએ 'વિનોદની નજરે 'ક્યાં મળે એવું મને પૂછ્યું ? મેં કહ્યું હું મોકલીશ. મેં ભાગ્યેશ જહાઁ દ્વારા પુસ્તક મોકલ્યું. પુસ્તક વાંચી માધવસિંહ કહે વિનોદ તારામાં ભારે હિંમત. તમારે ખરેખર અફેર હતો. મેં કહ્યું હું ૮૦નો એ ૯૨ની.એને કાને સંભળાતું નથી, આંખે દેખાતું નથી. પહેલા સકામ ભાવે અફેર હતો, હવે સકાન ભાવે અમારી વચ્ચે સ્નેહ - ભાવ, પ્રેમ છે. વસુબહેનને ખબર છે ? મેં કહ્યું, મેં પૂછ્યું નથી.

( વસુબહેન ભટ્ટ યુવાનીમાં સુંદર, ઘરેથી સ્કૂલ ભણવા અને ભણાવવા જે રસ્તે થી જાય લોકો સવારે વહેલા ઉઠી જતા એમની એક ઝલક જોવા) વસુબહેન રેડિયો ડિરેક્ટર થયા. એકવાર હું અને વેણીભાઈ પુરોહિત (તારી આંખનો અફીણી ફેઈમ) બેઠા હતા. વસુબહેન આવતા દેખાયા. વેણીભાઈ ચશ્મા ઉતારી ધોતિયાની કિનારીથી લુછવા માંડયા. હું બોલ્યો ," વેણીભાઈ હવે રહેવા દો.ઘરડા થયા. વેણીભાઈ કહે હું ઘરડો થયો છું. એ ક્યાં થઈ છે. મેં આ કિસ્સો લખ્યો. વેણીભાઈ ખીજાણાં. તેં મને ઘરડો જ કેમ ચીતર્યો.

( ૨ ) કેશુભાઈ પટેલ :-વિનોદ ભટ્ટના શબ્દોમાં કોઈ એમ નહિ કહે કે કેશુભાઈ મારી જોડે કોલેજમાં ભણતા હતા.(કેશુભાઈ પ્રીપ્રાઈમરી ન હતા).

કેશુબાપાને મુંબઈ એક પાર્ટીમાં જવાનું થયુ. બાપા પાર્ટીના ધ્વારે પહોંચ્યા. એ પહેલા એમ.એફ.હુસેન પહોંચેલા. આપની ઓળખાણ હું એમ.એફ.હુસેન, શું કરો છો ? ચિત્રકાર છું. ચિત્ર દોરી બતાવો. એમ.એફ.હુસેન ગજગામીનીનું પેઇન્ટિંગ દોર્યું. ઓ.કે. યુ કેન ગો.એમના પછી સિતારવાદક પંડિત રવિશંકર હતા.એમને સિતાર વગાડી એમને પ્રવેશ મળ્યો.

વારો આવ્યો કેશુબાપાનો. તમે કોણ બાપાએ પૂછ્યું મારી આગળ ગયા એ બે જણા કોણ હતા ? એમ.એફ. હુસેન અને રવિશંકર, બાપાએ પૂછ્યું, એ બે કોણ છે ? પેલાએ ચુપચાપ બાપાને જવા દીધા.

( ૩ ) શંકરસિંહ વાઘેલા :- વિનોદ ભટ્ટના શબ્દોમાં. શંકરસિંહ વાઘેલા બાપુ એમનાથી બે વર્ષ પાછળ ભણવામાં એ સી.એમ થયા. એકવાર મળ્યા," વિનોદ કામકાજ કહેજે. મેં કહ્યું ગુજરાતી સાહિત્ય પરિષદ ખાનદાની ખોરડું છે. પગાર કરવાના ફાંફા છે. થોડા દિવસ પછી ફોન આવ્યો", કાલે બાર વાગે આપણે સાથે લન્ચ લઈશું. હું ,રઘુવીર ચૌધરી અને પ્રકાશ ન. શાહ ગયા. કેટલુ ડોનેશન જોઈએ ? મેં કહ્યું પચાસ લાખ. એમણે કન્સન્ડ અધિકારીને બોલાવી ભાષણ આપ્યુ. એકાવન લાખનો ચેક હાથમાં આપતા કહ્યું સીધો બેંકમાં જઈને જમા કરાવી દે ! કાલની ખબર નથી અમે બેંકમાં દોડયા, રઘુવીર કોષાધ્યક્ષ એ પૂછે અંગ્રજીમાં લેખનો સ્પેલિંગ મેં કહ્યું ચેકમાં લખ્યો છે એ લખી દે, એકાવન પછી મીંડા કેટલા ? મેં કહ્યું ચેકમાં જોઈલે ! અમે બઘવાયા થઇ ગયા.

બાપુ સી.એમ બન્યા.લંડન થી પત્રકારો એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા. બાપુના પી.એ.ને ફોન કર્યો. બાપુ સૂતાસૂતા છાપુ વાંચતા હતા. પી.એ.ઇન્ટરવ્યુ માટે બાપુને પૂછ્યું. બાપુએ નન્નો ભણ્યો.પી.એ. સમજાવ્યા, બાપુ વિદેશથી પત્રકારો આવેલા છે. આપ દુનિયાભરમાં છવાય જશો. બાપુ કહે કાલ સાંજે ધ્રાંગધ્રામાં સાંજે પાંચ વાગે મારી સભા છે, સભા પતે પછી ઇન્ટરવ્યુ આપીશ.પી.એ. લંડનના પત્રકારોને બાપુનો મેસેજ કહ્યો. સામે છેડેથી એક પત્રકારે ધ્રાંગધ્રાનો સ્પેલિંગ પૂછ્યો ? પી.એ.એ બાપુને પૂછ્યું ? બાપુ સલવાયા. બાપુ કહે એમ કર આઠ વાગે બોટાદમાં સભા છે ત્યારે ઇન્ટરવ્યુ આપશે એમ કહી દે.

(૪) નરેન્દ્ર દામોદરદાસ મોદી :- વિનોદ ભટ્ટના શબ્દોમાં. નરેન્દ્ર મોદી વિષે વિનોદભાઈએ કહ્યું કે આજે છે એવા પહેલા નૌતા.મારે એમની સાથે પરિચય દોસ્તી એવું ના કહેવાય. કહેવત છે ને રાજા કોઈનો મિત્ર હોતો નથી.

ઘરે આવે મારી પત્ની પૂછે ," શું જમશો ? નરેન્દ્રભાઈ કહે ,"તમને રાંધવામાં અને મને ખાવામાં તકલીફ ન પડે એવું કંઈ પણ ચાલશે, પછી કહે શીરો ચાલશે.

થોડો વખત નરેન્દ્રભાઈ ગુપ્તવેશે ફરતા. એકવાર મારે ઘરે આવી ચઢેલા હું એમને ઓળખી શક્યો નહોતો. આજે પણ એમને કોઈ ઓળખી શકતું નથી. પછી તો એ બહુ મોટા બની ગયા. એવું કહેવાય છે કે શાર્પસુટર એમને મારવા ફરતા હોય છે.

એક કાર્યક્રમમાં એ આવવાના હતા મારે પણ જવાનું હતુ. પત્ની કહે તમે હરખપદુડા થઇ એમની બાજુમાં બેસતા નહિ.ન કરે નારાયણ શાર્પસુટર નિશાન ચુકે ને તો એમની પાછળ કોઈ રોનાર નથી તમને કંઈ થઇ જાય તો અમારું કોણ.

રાયપુર એ સ્કૂટર પર સામેથી આવતા. મને જોયો , હાથ બતાવ્યા વગર એમણે સ્કૂટર વાળ્યુ એક સાયકલવાળો અથડાતા બચ્યો. નરેન્દ્રભાઈએ વિનમ્રતા સાથે એને સોરી કહ્યું.

હવે તેઓ સોરી કહેવાનું ભૂલી ગયા છે. વાંક હોય તો પણ સોરી કહેતા નથી.

Next Story