ભરૂચ : જિલ્લાના પોલીસબેડામાં ખુશીની લહેર, ત્રણ કોન્સટેબલને મળ્યાં ચંદ્રક
ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમ વાર પોલીસ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ એવોર્ડથી જયારે અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
દાહોદના ફતેપુરા તાલુકામાં આવેલાં મારગાડા ગામના સુરેશ રામસંગ વણઝારાની પોલીસ કોન્સ્ટેબલ તરીકે 21 વર્ષ પહેલાં ભરૂચમાં નિમણૂંક થઇ હતી. જે બાદ તેમણે ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેમજ મહત્વની શાખાઓમાં ફરજ બજાવી હતી. ગેરકાયદે હથિયાર, હવાલા, ડુપ્લિકેટ ગુટખા ફેક્ટરી, લૂંટ-ધાડ, ચોરી, સહિતના અનેક ગુનાઓને શોધી કાઢવામાં તેમણે સફળતાં મેળવી હોય તેમને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાજયના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યમાંથી 10થી વધુ પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયાં છે. તેમાં પણ તેઓ એક માત્ર પોલીસ કોન્સ્ટેબલ તરીકે સન્માનિત થયાં છે.અત્યાર સુધી સુરેશ વણઝારાએ ૨૬૦થી વધુ ઇનામ પ્રાપ્ત કરી ભરૂચ જીલ્લા પોલીસનું ગોરવ વધાર્યું છે
તો અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિનેશ ભાઈ અને બી ડીવીઝન પોલીસ મથકના ફિરોઝભાઈને પણ રાજ્યના સહકાર પ્રધાનના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા વર્ષ ૨૦૧૮માં રાજપારડી નજીક પુરના પાણીમાં ફસાયેલ એસ.ટી.બસમાંથી મુસાફરોને જીવના જોખમે બહાર કાઢી આ બન્ને કોન્સ્ટેબલ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જે બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે.