ભરૂચ : 6 મહિનાથી છોકરાઓ ઘરે જ ભણે છે તો ફી શા માટે ? વાલીઓનો આક્રોશ
રાજયમાં શાળાઓ તથા કોલેજો કયારથી ચાલુ થશે તે કઇ નકકી નથી ત્યારે સરકારે ફીમાં 25 ટકા રાહત આપતો નિર્ણય કર્યો છે પણ વાલીઓને આ નિર્ણય સ્વીકાર્ય નથી. વાલીઓ સરકારના પગલાંને લોલીપોપ સમાન ગણાવી રહયાં છે.
માર્ચ મહિનાથી કોરોના વાયરસના કારણે લોકડાઉન આપવામાં આવ્યું હતું. માર્ચ મહિનાથી શાળા અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ છે. માર્ચ મહિનાથી શાળાઓમાં ફી અંગે સંચાલકો અને વાલીઓ વચ્ચે વિવાદ ચાલી રહયો છે. બુધવારે મળેલી કેબીનેટની બેઠકમાં વાલીઓને શાળાની ફીમાં 25 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના નિર્ણય સંદર્ભમાં ભરૂચના વાલીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ધંધા- રોજગાર પડી ભાંગ્યાં છે ત્યારે સરકારે આખા સત્રની ફી માફ કરી દેવી જોઇએ.
અન્ય એક વાલી જયોતિબેન તડવીએ જણાવ્યું હતું કે, છ મહિનાથી શિક્ષણકાર્ય બંધ છે અને બાળકો ઘરે બેસીની અભ્યાસ કરી રહયાં છે ત્યારે ફી માફીનો નિર્ણય માત્ર લોલીપોપ સમાન છે.
કંચનબેન પરમાર નામના વાલીએ જણાવ્યું હતું કે, ઓનલાઇન શિક્ષણના કારણે ખર્ચો વધી ગયો છે. બાળકોના અભ્યાસ માટે નવા મોબાઇલ લેવા પડયાં છે. લોકડાઉનના કારણે ખર્ચો નથી નીકળતો ત્યારે ફી કેવી રીતે કાઢવી તે એક સવાલ છે.