રાજકોટ : રાજવી પેલેસ ખાતે તિલક સમારોહનો પ્રથમ દિવસ થયો પૂર્ણ, જુઓ કઈ કઈ વિધિ થઈ સંપન્ન
જે દિવસની રાહ રાજકોટના રાજવી પરિવાર સહિત સૌ કોઇ જોઇ રહ્યા હતા, તે દિવસ આવી ચૂક્યો છે. રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની તિલક વિધિ સમારોહનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે, ત્યારે તિલક વિધિ સમારોહના પ્રથમ દિવસે ક્યાં ક્યાં પ્રકારની વિધિઓ સંપન્ન કરવામાં આવી, તે અંગે જુઓ અમારો આ રિપોર્ટ...
રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની તિલક વિધિ સમારોહનો
પ્રથમ દિવસ સંપન્ન થયો હતો, ત્યારે પ્રથમ દિવસની શરૂઆત માંધાતાસિંહ જાડેજાએ પોતાની કુળદેવીના દર્શનથી કરી
હતી. રાજકોટ શહેરના પેલેસ રોડ ખાતે આવેલા જાડેજા વંશની
કુળદેવી આશાપુરા માંનું મંદિર આવેલું છે, ત્યારે રણજીત વિલાસ પેલેસ ખાતેથી
વિન્ટેજ કારમાં માંધાતાસિંહ જાડેજા અને તેમના પુત્ર જયદીપસિંહ જાડેજા આશાપુરા
માતાના મંદિરે પહોંચ્યા હતા. માંધાતાસિંહ જાડેજાએ કુળદેવીના દર્શન સમયે કેસરીયો
ધારણ કર્યો હતો. તો સાથે જ કુળદેવીના દર્શન કર્યા બાદ મંદિર ફરતે પ્રદક્ષિણા પણ
કરી હતી. કુળદેવી માં સમક્ષ
શીશ ઝુકાવી સમગ્ર તિલક વિધિ
સમારોહ નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે પ્રાર્થના પણ કરી
હતી. ઉપરાંત કોઈપણ યજ્ઞની
શરૂઆત કરતા પહેલા દેહ શુદ્ધિની વિધિ કરવી આવશ્યક હોય છે, ત્યારે માંધાતાસિંહ જાડેજા અને
તેમના ધર્મ પત્નીએ દેહ શુદ્ધિની વિધિમાં બેસી વિધિને સંપન્ન કરી હતી. દેહ શુદ્ધિની વિધિ બાદ માંધાતાસિંહ જાડેજા દ્વારા વિષ્ણુ
પૂજન કરવામાં આવ્યું હતું, જે બાદ ગૌ પૂજન, અશ્વ પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.