વડોદરા : ટ્રાફિક ડાયવર્ટ કરવા મનપાએ મંગળબજારમાં ફરીથી બેરીકેટ લગાવ્યા, પથારાવાળાઓમાં રોષ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના મંગળ બજારને પથારામુક્ત કરી વાહન વ્યવહાર ચાલુ કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં રેલીંગો લગાવવા છતાં પથારા ચાલુ રહેતા મંગળ બજારમાં ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે પુનઃ એક વાર ગાંધીનગર ગૃહથી પદમાવતી શોપિંગ સેન્ટર પાસે મોડી રાત્રે બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગર પાલિકા માટે મંગળ બજારના પથારા માથાનો દુ:ખાવો બની ગયા છે.
મંગળ બજારને પથારામુક્ત કરવા માટે પાલિકા દ્વારા તાજેતરમાં વેપારીઓના વિરોધ વંટોળ
વચ્ચે દુકાનોની આગળ રેલીંગો લગાવી દેવામાં આવી છે. આમ છતાં, પથારાવાળાએ રેલીંગની આગળ પથારા
મુકીને ધંધો શરૂ કરી દેતા પાલિકાનો પથારામુક્ત મંગળ બજારનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
જોકે, પાલિકા દ્વારા કોઇ પણ ભોગે મંગળ
બજારને પથારામુક્ત કરવા માટે તત્પર રહી મંગળ
બજારમાંથી થ્રી-વ્હિલ, ફોર વ્હિલ
વાહનો માટે રસ્તો ચાલુ કરવા માટે પદમાવતી શોપિંગ સેન્ટર નીચે બેરીકેટ લગાવી દેવાયા બાદ ગાંધીનગર
ગૃહથી ન્યાય મંદિર તરફ આવતા થી-વ્હિલ અને ફોર વ્હિલ વાહનો મંગળ બજારમાંથી
ન્યાયમંદિર તરફ વળ્યા હતા.
ઉપરાંત શહેરના મંગળ બજારમાંથી વાહનો માટે રસ્તો ચાલુ કરવામાં આવતા પથારાવાળાઓમાં પાલીકા
સામે રોષ જોવા મળ્યો હતો, ત્યારે પદમાવતી શોપિંગ સેન્ટર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો
હતો. થોડા સમય પહેલાં પણ પદમાવતી શોપિંગ સેન્ટર નીચે
બેરીકેટ લગાવી વાહનોને મંગળ બજારમાં ડાયવર્ટ કરવામાં
આવ્યા હતા. પરંતુ, વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતા બેરીકેટ દૂર કરી દેવામાં આવ્યા હતા. મોડી રાત્રે
લગાવવામાં આવેલા બેરીકેટ કેટલો સમય રહેશે. તે હવે જોવું રહ્યું. હાલ તો વડોદરા મહાનગર પાલિકા આ
બેરીકેટ કાયમી ધોરણે રહેશે અને ગાંધીનગરથી ન્યાય મંદિર તરફ જતા વાહનો મંગળ
બજારમાંથી ચાલુ રહેશે તેમ જણાવ્યુ હતું.