શહેરા : શહેરા : ફારગતિના આઘાતમાં મહિલા અને પુરુષે જીવાદોરી ટૂંકાવી, બંને કૌટુંબિક સંબંધી થતા હતાં
સમાજમાં બંન્નેના પ્રેમ સંબંધને જાકારો આપવામાં આવશે એ ડરના કારણે લીધી ગળાફાંસો ખાઈ અંતિમ સફરની વાટ.
શહેરા નગર પાલિકામાં
આવેલા પરા વિસ્તારના પટિયા કે જયાં મધુબેન સોમાભાઈ પગી પોતાના પરિવાર સાથે રહે
છે.મોટી પુત્રી મનીષાના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા જ્ઞાતિના રીતરિવાજ અનુસાર શહેરા
તાલુકાના મીઠાપુર ગામે થયા હતા. જ્યા અમુક કારણોસર મનિષાનો લગ્ન સંસાર સારો ન
ચાલતા છૂટાછેડા લીધા હતાં. પોતાના પિયર પટિયા આવી ગઈ હતી. જ્યા ફળિયામાં જ રહેતા
અને કૌટુંબિક રીતે સબંધી થતા અનુપ રમણભાઈ પગી સાથે આંખ મળી જતા પરિવારજનોની જાણ
બહાર પ્રેમ પાંગરવા લાગ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ બંન્ને પ્રેમીપંખીડાઓ ભાગી ગયા
હતા. પંદર દિવસ પછી પાછા લઈ આવ્યા હતા અને સમાજના પંચરાહે સમાધાન પણ કર્યુ હતું.
તેમ છતાં જીવવા અને મરવાના કોલ આપી ચૂકેલા આ પ્રેમીપંખીડાઓ વચ્ચે પ્રેમ પાંગરતો જ
રહ્યો. પ્રેમમિલનમાં અવરોધરૂપ કોઈ પણ કારણ હોય પણ મંગળવારની રાત્રીએ મનીષા અને
તેનો પરિવાર રાત્રે જમીને સુઈ ગયા હતા.
સવારે ઉઠી મનિષાની માતાએ ખાટલામાં જોતાં મનીષા જોવા મળી ન હતી. તેઓ એવું સમજ્યા કે
કદાચ તેણી કુદરતી હાજતે ગઈ હશે અને લગભગ સવારના ૮
વાગ્યે અન્ય લોકો પણ કુદરતી હાજતે જતા ખેતરના ખૂણામાં આવેલા આંબાના ઝાડ પર મનીષા
અને અનુપ બંન્ને ગળે દોરી બાંધી સામસામે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં.
લોકોની બૂમાબૂમ સાંભળી મૃતક મનીષાના પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને
ગળાફાંસો ખાધેલી હાલતમાં પોતાની પુત્રીને જોતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા.
પોલીસને ઘટનાની જાણ થતા
ઇન્ચાર્જ પી આઈ એલ.એ.પરમાર પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ
જરૂરી કાર્યવાહી કરી બંન્ને મૃતદેહોને શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે
મોકલી આપ્યા હતા. બનાવના પગલે ખોબલા જેટલા પરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
નોંધનીય છે કે બંન્ને પ્રેમીપંખીડા એકજ ફળિયામાં રહેતા હતા અને કૌટુંબિક રીતે પણ
સંબંધી થતાં હોય મનીષા અને અનુપને લાગ્યું હશે કે સમાજ આપણા પ્રેમસબંધને
જાકારો આપશે અને કોઈ આને સમજી નહીં શકે એવું માની લઈ તેઓએ આ ફાની દુનિયાને અલવિદા
કહેવાનું નક્કી કર્યુ હશે.