અંકલેશ્વર અંદાડાના રહસ્યમય રીતે ગુમ થયેલા સરપંચનો મૃતદેહ મળી આવ્યો
જમીન એનએ કરવા માટે ખોટા કાગળ પર સહી નહિ કરતા સતિષ ને મોતને ઘાટ ઉતારાયો
પોલીસે પંચાયતના સભ્ય સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ વસાવા ઉ.વ.૩૫ ના ઓ તારીખ ૧૨મી એપ્રિલના રોજ થી રહસ્યમય રીતે ગુમ થયા હતા,જોકે તેઓનો મૃતદેહ અમરતપુરા ગામની સીમ માંથી મળી આવ્યો હતો.હત્યારાઓ એ હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધી હતી.પોલીસે પંચાયતના સભ્ય સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ સોમાભાઈ વસાવા તારીખ ૧૨મી એપ્રિલની સાંજથી રહસ્યમય રીતે ગુમ થયા હતા,જેના કારણે ગ્રામજનો માં ભારે આક્રોશ સર્જાયો હતો.પરંતુ ગુમસુદા સરપંચ નો મૃતદેહ મળી આવતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
શહેર પોલીસ સુત્રો જાણવા મળ્યા મુજબ સરપંચ સતિષ વસાવા પાસે પંચાયતના સભ્ય કૃણાલ ચંદુભાઈ પરમાર ના ઓ જમીન એનએ કરાવવા માટે કાગળો પર ખોટી સહી કરાવવા માટે દબાણ કરતો હતો,પરંતુ સરપંચે સ્પષ્ટ ના પાડતા કૃણાલને આર્થિક નુકશાની ના કારણે તેને નારસંગ રામસંગ વાળા સાથે મળીને સતિષ ને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું રચ્યું હતુ,અને તારીખ ૧૨મી એપ્રિલના રોજ સાંજે નારસંગ સતિષ વસાવા ને અમરતપુરા ખાતે ખોડિયાર માતાના મંદિરે બાધા કરવાનું કહીને લઇ ગયો હતો.જ્યાં અગાઉ થી આયોજન મુજબ અનિલ વસાવા અને નિલેશ વસાવા ઉભા હતા,તેઓએ પાઇપ વડે સરપંચ સતિષ વસાવા ને માથા તેમજ ગળા ના ભાગે મારમારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને લાશ ને જમીનમાં દાટી દઈને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી.
સતિષ વસાવા ના મૃતદેહને પોલીસે જમીન માંથી બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો,હાલ અંદાડા ગામમાં અજંપા ભરેલી સ્થિતિ સર્જાય ગઈ હતી,તેથી પોલીસ દ્વારા પણ ગામમાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
શહેર પોલીસે મૃતક સરપંચ ના ભાઈ દિપક વસાવાની ફરિયાદ નોંધીને આરોપી નારસંગ વાળા રહે સૌરભ નગર,અંદાડા,પંચાયત સભ્ય કૃણાલ પરમાર રહે અક્ષરધામ સોસાયટી,અંદાડા,અનિલ વસાવા અને નિલેશ વસાવા બંને રહે કૃષ્ણ નગર,અંદાડા ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યા નો ગુનો દર્જ કરીને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.