અંકલેશ્વર : દઢાલ ગામમાં છેલ્લા ચાર દિવસથી વિજપુરવઠો અનિયમિત હોવાની ઉઠી રાવ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામમાં વિજપુરવઠો ખોરવતા ગ્રામજનો રોષે ભરાયા હતા.
અંકલેશ્વર ખાતેની ડીજીવીસીએલ કંપનીના ધાંધીયા એક પછી એક સામે આવી રહ્યા છે. લોકડાઉન બાદ મસમોટા બિલ ફાડવાની ઘટનાઓ બાદ હવે વિજપુરવઠો અનિયમિત રહેવાની રાવ ઉઠી છે. ચોમાસા પૂર્વે પ્રિમોનસૂન કામગીરીના નામે ખર્ચાતા રૂપિયામાં પાણીમાં ગયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. વરસાદી ઝાપટાં શરૂ થતાં જ વીજળી ડૂલ થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે. અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી વીજળી અનિયમિત રહેવાની સમસ્યા ગ્રામજનો ભોગવી રહ્યા છે. ગત રાત્રિએ વીજળી ખોરવતા ગામલોકોએ ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. ગૃહિણીઓને રોજિંદાની કામમાં વીજળીના અભાવે હાલકી વેઠવી પડી હતી. જ્યારે દુકાનદારોએ ધંધા ઉપર અસર પડતી હોવાથી આર્થિક નુકશાની થઈ રહી હોવાની વાત કરી હતી. ગામ આગેવાનો તેમજ ગ્રામજનોએ વીજળી નિયમિત કરવા તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી હતી.