અંકલેશ્વર ને.હા.નં.૮ રાજપીપળા ચોકડી નજીક નાઈટ્રીક એસિડ ભરેલ ટેન્કરે પલ્ટી ખાતા દોડધામ
ટેન્કરમાંથી લિકેજ થતા ગેસને ભારે જહેમત બાદ લાશ્કરોએ કંટ્રોલ કર્યો,
ઈજાગ્રસ્ત ટેન્કર ચાલક સારવાર હેઠળ
અંકલેશ્વર ને.હા.નં.૮ રાજપીપળા ચોકડી નજીકથી નાઈટ્રીક એસિડ ભરેલુ ટેન્કર પસાર થઈ રહયુ હતુ.જે અકસ્માતે પલ્ટી મારી જતા ટેન્કરમાંથી ગેસ લિકેજ થયો હતો, સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મુંબઈ થી ટેન્કરમાં નાઈટ્રીક એસિડનો જથ્થો ભરીને ટેન્કર ચાલક અરૂણસિંહ રાજપુત ઉ.વ ૩૨ નાઓ વડોદરા જીઆઈડીસીમાં આ એસિડનો જથ્થો પહોંચાડવા માટે જઈ રહ્યા હતા.તે અરસામાં અંકલેશ્વર નજીક ને.હા.નં.૮ રાજપીપળા ચોકડી પાસે ઓવરબ્રિજ ઉતરતાં જ ટેન્કર રોડની બાજુમાં અકસ્માતે પલ્ટી મારી ગયુ હતુ.નાઈટ્રીક એસિડ ભરેલ ટેન્કરે પલ્ટી મારતા તેમાંથી ગેસ લિકેજ થયો હતો,જેનાં કારણે વાતાવરણમાં કેસરી રંગના ધુમાડાનું આવરણ છવાય ગયુ હતુ.
સર્જાયેલી ઘટનાનાં પગલે લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.બનાવ અંગેની જાણ શહેર પોલીસ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ તેમજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીનાં ડિપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા રેશ્કયુ ટીમો ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને લાશ્કરોએ ટેન્કરમાંથી નાઈટ્રીક એસિડનું લિકેજ બંધ કરવા માટે રેતી નાખીને ગેસનું ગળતર બંધ કરી દીધુ હતુ.
જો કે ટેન્કરનો વાલ્વ જ લિકેજ હોવાથી લાશ્કરો માટે આ એક ચેલેન્જીંગ ઘટના બની ગઈ હતી અને વરસાદ પડવાનાં કારણે ટેન્કરમાંથી લિકેજને બંધ કરવા માટે વધુમાં વધુ રેતી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં ટેન્કર ચાલક અરૂણસિંહ રાજપુતને ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ સંદર્ભે ડીપીએમસી ના મેનેજર મનોજ કોટડીયા એ જણાવ્યું હતું કે પલ્ટી ખાધેલ ટેન્કરને ઉપાડવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. પરંતુ નાઈટ્રીક એસિડનું ગળતર બંધ ન થતા લાશ્કરોએ ભારે હજેમત ઉઠાવી પડી હતી.સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી નથી.