અંકલેશ્વર: રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાતે થયો બ્લાસ્ટ, ૪ કામદાર દાઝયા
અંકલેશ્વર GIDCમાં આવેલ રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાત્રીના અચાનક બ્લાસ્ટ થતા ચાર જેટલા કામદારો દાઝી ગયાની ઘટના સામે આવતા જ કંપની કામદારોમાં બ્લાસ્ટના પગલે ભાગદોડ મચી જવા પામી હતી.
ઘટનાની મળતી વિગતો અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ રાલીઝ ઇન્ડિયા કંમ્પનીમાં ગત રાત્રિ દરમિયાન કોઇ અગમ્ય કારણોસર અચાનક બ્લાસ્ટ થવાની ઘટના ઘટવા પામી હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરતા ચાર જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા. અચાનક બ્લાસ્ટના પગલે કંપનીમાં કામ કરતા અન્ય કામદારોમાં દહેશત સાથે ભાગદોડ મચી જવા પામી હતી. અચાનક થયેલા બ્લાસ્ટમાં દાઝી ગયેલ કામદારોમાં સૌરભ યાદવ ,સાહિલ અલી ,જયેન્દ્ર પરમાર તેમજ દર્શક નાયકને અંકલેશ્વરની પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે પ્રથમ સારવાર હેઠળ દાખલ કરાયા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે બીએપીએસ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે રહસ્ય હજુ અકબંધ છે.હાલતો ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.