અમરેલી : સાવર કુંડલાના કબીર મંદિરની યશસ્વી કામગીરી, લોકડાઉનમાં જરૂરિયાતમંદો માટે બનાવે છે 1200થી વધુ ટિફિન
અમરેલી જિલ્લાના સાવર કુંડલા ખાતે આવેલ કબીર મંદિર દ્વારા કાયમી ટિફિન સેવાના ઉપક્રમે રોજના 1200થી વધુ ટિફિન જરૂરિયાતમંદોને ઘરે ઘરે જઈને પહોંચાડવામાં આવી રહ્યા છે.
કોરોના મહામારીના કારણે સંપૂર્ણ ભારતમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેના પગલે શહેરમાં રોજીન્દી કમાણી કરી ટન્કનું લાવી ટન્ક ખાનારા લોકો આર્થિક રીતે સંકડામણ અનુભવી રહ્યા છે, ત્યારે સાવરકુંડલાના કબીર ટેકરી ખાતે મહંત નારણદાસના આશીર્વાદ અને તપસ્વી મંડળ, મુંબઇ તથા કબીર યુવા ગૃપ, સાવરકુંડલાના સહયોગથી કાયમી ટિફીન સેવાના ઉપક્રમે નિરાધાર, વૃધો, દિવ્યાંગો, નિરાશ્રિતો અને વૃદ્ધોને તેમજ પોતાનો જીવન નિર્વાહ યોગ્ય રીતે ન કરી શકનારા કુટુંબો, શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને ડોર ટુ ડોર જઈ નિઃશુલ્ક રોજના 1200થી વધુ ટિફીન પહોચાડવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનના પ્રથમ દિવસથી દરરોજ નિયમિત ટિફિન સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ સેવા કાર્યને અમરેલી જીલ્લાના ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ પણ બિરદાવી આર્થિક યોગદાન આપ્યું હતું.