Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ભિલોડાના પાદરામાં સગીરની આત્મહત્યા મામલે હોબાળો

અરવલ્લી : ભિલોડાના પાદરામાં સગીરની આત્મહત્યા મામલે હોબાળો
X

સગીરની હત્યા થયાનો પરિવારજનોનો આક્ષેપ

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં યુવક-યુવતીઓની આત્મહત્યા પછી મૃતક યુવક-યુવતીના પરિવારજનોએ હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે અનેક દિવસો સુધી લાશને સ્વીકારવાનો અને અંતિમક્રિયા થી દૂર રાખવાના અનેક કિસ્સા નોંધાયા છે. ભિલોડા તાલુકાના પાદરા ગામનો ૧૬ વર્ષીય સગીર નવરાત્રી જોઈ પરત ઘરે ફરી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી હતી. સગીરની આત્મહત્યાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ભિલોડા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સગીરના મૃતદેહને પીએમ માટે ભિલોડા હોસ્પિટલમાં ખસેડાતા પીએમ કરાયા બાદ પરિવારજનોએ સગીરે આત્મહત્યા નહીં પણ હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પોલીસતંત્ર પરિવારજનોને સમજાવવાની મથામણમાં લાગ્યા હતા.

પાદરા ગામના ૧૬ વર્ષીય સગીર અને ધોલવાણી હાઈસ્કૂલમાં ધોરણ-૧૧ માં અભ્યાસ કરતા બિપિન રમેશભાઈ નિનામા મિત્રો સાથે નજીકમાં અંધારિયા ગામે ગરબી જોવા ગયા પછી વહેલી સવારે તેના જુના ઘરમાં શર્ટ વડે આત્મહત્યા કરી લેતા ઘરની છત સાથે બિપીનનો મૃતદેહ લટકતો હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો સહીત લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસે સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ એ.ડી નોંધી સગીરના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી સગીરના મોતના સંદર્ભે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં બિપિન રમેશભાઈ નિનામાની પીએમની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે પરિવારજનો અને સગા-સંબંધી સહીત લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને યુવકની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ બિપિનનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દઈ યુવકની આત્મહત્યા નહીં પરંતુ હત્યા જ થઈ હોવાનો અને પરિવારજનોએ પોલીસને જણાવેલ નામ એફઆઈઆર માં દાખલ કરવાની અને હત્યાનો ગુન્હો નોંધવાની માંગ સાથે ભિલોડા પોલીસ પણ આરોપી સાથે ભળી ગઈ હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કરતા પોલીસતંત્ર માટે મૂંઝવણ ભરી પરિસ્થિતિ પેદા થઈ છે. ભિલોડા પોલીસ સહીત જીલ્લાની પોલીસ ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં તકેદારીના ભાગ રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા પોલીસ છાવણીમાં હોસ્પિટલ ફેરવાઈ છે.

મૃતક બિપિન નિનામાના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા અને હત્યાનો ગુન્હો આરોપી સામે નહીં નોંધાય ત્યાં સુધી લાશ નહીં ઉઠાવવામાં આવેનું પરિવારજનોએ મક્કમતા પૂર્વક જણાવી ન્યાયની માંગ કરી હતી. ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા છે હાલ ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં અને સગીરના વતનમાં ભરેલા અગ્નિ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે.

Next Story