આજના દિવસે રજૂ થઇ હતી ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’
3જી મે 1913 માં ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’ રજૂ થઇ હતી. ત્યાં સુધી લોકો નાટકોને જ મનોરંજનનું માધ્યમ સમજતા હતા.
પરંતુ 40 મિનિટ લાંબી ફિલ્મ બનાવીને દાદા સાહેબ ફાળકેએ ભારતીય સિને જગતનો પાયો નાંખ્યો હતો. આ ફિલ્મ રાજા હરિશચંદ્રના જીવન પર આધારિત હતી. જેમણે વચન પાળવા પોતાનું રાજ્ય,પત્ની અને પુત્રનો ત્યાગ કર્યો હતો.કહેવાય છે કે ભારતની પ્રથમ ફિલ્મ માટે આ વિષય પસંદ કરવાના બે કારણો હતા. પહેલું કારણ એ હતું કે તે સમયે નાટકોમાં રાજા હરિશચંદ્રનો વિષય મુખ્ય રહેતો હતો. બીજું કારણ એ છે કે દાદા સાહેબ ફાળકે આ વાર્તા પર રવિ વર્માએ બનાવેલી પેઇન્ટિંગ જોઇને ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ફાળકેએ પ્રથમવાર ‘ધ લાઇફ ઓફ ક્રાઇસ્ટ’ જોઇ હતી. ત્યારબાદ તેમણે ભારતના ભગવાન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ફિલ્મ બનાવતા પહેલાં તેમણે લંડન જઇને ફિલ્મ માટે જરૂરી આર્ટ અને ટેકનીકલ બાબતોનો અભ્યાસ કર્યો હતો.
આ ફિલ્મ બનાવવામાં ફિલ્મના કલાકારો સહિત ફાળકેના સમગ્ર પરિવારે મદદ કરી હતી. આ ફિલ્મ 6 મહિનામાં પુરી થઇ હતી. ફિલ્મનું લોકેશન દાદર મેઇન રોડ પર આવેલું મથુરા ભવન રાખવામાં આવ્યું હતું.કહેવાય છે કે આ ફિલ્મ બનાવનાર તમામ 500 લોકો માટે ફાળકેના પત્ની સરસ્વતી રસોઇ બનાવતા હતા. એક્ટર્સના કપડાં ધોતા હતા તેમજ ફિલ્મના પોસ્ટર્સ પણ તૈયાર કરતા હતા.
ફાળકે જાણતા હતા કે સાયલન્ટ ફિલ્મ હોવાથી લોકોને સમજવામાં તકલીફ પડશે. તેથી તેમણે સીનની વચ્ચે ટાઇટલ પ્લેટ મૂકાવી હતી. જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં વાર્તા સમજાવે. ફાળકેએ આ ફિલ્મમાં લાઇવ મ્યુઝિકનો પણ ઉપયોગ કર્યો હતો.
ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’નું સ્ક્રીનીંગ કોરોનેશન સિનેમેટોગ્રાફ થિયેટરમાં યોજાયું હતું. આ પ્રસંગે ફાળકેએ મીડિયા સહિત ઘણાં લોકોને ફિલ્મ જોવા આમંત્રણ આપ્યું હતું.તમને જાણીને ખુશી થશે કે ભારતની આ પ્રથમ ફિલ્મ હીટ થઇ હતી અને થિયેટરમાં 23 દિવસ ચાલી હતી. ત્યારબાદ આ ફિલ્મનું સ્ક્રીનીંગ લંડનમાં પણ યોજવામાં આવ્યું હતું.