આજે PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત, પીએમ મોદી માતા હીરાબાના લેશે આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લેશે. ચૂંટણી પરિણામો બાદ પીએમ મોદીની ગુજરાતની આ પ્રથમ યાત્રા છે. 30મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેશે. પીએમ મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત, અભિવાદન કરશે અને અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોકમાં ભાજપ કાર્યલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે. મોદી અહીં કાર્યકરોને સંબોધન પણ કરશે.
અમિત શાહ પણ પીએમ મોદી સાથે જ આવશે. રવિવારે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાંથી સાંજે 5.30 કલાકે ખાનપુર કાર્યાલય પહોંચશે. અહીં પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવાશે. જે.પી.ચોક ખાતે મોદી અને અમિત શાહ જનસભા સંબોધશે. અમદાવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર જશે. રવિવારે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સોમવારે પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસી જશે.
ઉલ્લેખનીય છે કે ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવી છે. પાર્ટીને 543 સીટોમાંથી 303 સીટો પર ઐતિહાસિક જીત મળી છે. જ્યારે એનડીએેને 353 સીટો મળી છે. યૂપીએને 96 અને અન્યને 93 સીટ મળી છે.