Connect Gujarat
દેશ

ઇચ્છામૃત્યુ સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ સુપ્રીમના ચુકાદાને આવકાર્યો

ઇચ્છામૃત્યુ સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ સુપ્રીમના ચુકાદાને આવકાર્યો
X

સુપ્રીમ કોર્ટના ઈચ્છામૃત્યુના ચુકાદાને સ્વાસ્થ્યના નિષ્ણાંતોએ આવકાર્યો હતો. ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ)એ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસીક ચુકાદો છે, આ ચુકાદાએ એ પુરવાર કર્યું કે વ્યક્તિને સમ્માનની સાથે જીવવાની સાથે સમ્માનની સાથે મૃત્યુનો પણ અધિકાર છે.

ચુકાદા અંગે પોતાનું મંતવ્ય આપતી વેળાએ એ.આઇ.આઇ.એમ.એસ. ના અસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રસુન ચેટર્જીએ જણાવ્યું હતું કે લિવિંગ વિલની અનુમતી આપીને સુપ્રીમ કોર્ટે ઇચ્છા મૃત્યુને વધુ સરળ બનાવી દીધુ છે. વિકસિત દેશોમાં આ છુટછાટ પહેલાથી જ છે. કાયદો કહે છે કે જો કોઇ દર્દી માનસીક કે શારીરીક રીતે સક્ષમ ન હોય તો આવી સ્થિતિમાં દર્દીની પત્ની કે પતી અથવા સંતાનો આ નિર્ણય લઇ શકે છે. ડોક્ટરોને પણ આ અંગે નિર્ણય લેવામાં સરળતા રહેશે.

જોકે બીજી તરફ એશિયાના મેડિકલ અસોસિયેશનન કન્ફેડરેશનના ઉપ પ્રમુખ ડો. કે.કે. અગ્રવાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનો જોકે ઓગ્ય રીતે અમલ થવો જોઇએ, એવી પણ શક્યતાઓ છે કે દર્દી પર તેના પરિવારજનો જ લિવિંગ વિલ બનાવવા માટે દબાણ કરી શકે છે. આવું કોઇ પણ પ્રકારનું દબાણ દર્દી પર ન થાય તે જોવાની જવાબદારી સરકારની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે જીવન અશક્ય હોય તેવા કિસ્સામાં દર્દીઓ માટે ઇચ્છા મૃત્યુને કાયદેસર જાહેર કરી દીધુ છે. જોકે આ માટે કેટલીક ગાઇડલાઇન પણ તૈયાર કરાશે જેને અનુસરીને એવી વ્યક્તિને ઇચ્છા મૃત્યુનો અધિકાર રહેશે કે જેના માટે જીવવું અતી પીડાદાયક હોય. આવા દર્દીની અનુમતી સાથે મેડિકલ બોર્ડના અભિપ્રાય બાદ જ ઇચ્છામૃત્યુ આપી શકાશે.

Next Story