ઉત્તરપ્રદેશ નાં મથુરા માં દબાણ હટાવની કામગીરી દરમિયાન પોલીસ ઉપર હુમલો
SP તેમજ પોલીસકર્મીનું મોત નીપજ્યું તો 12 પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા
જાણકારી અનુસાર એક સત્યાગ્રહી સંગઠન દ્વારા છેલ્લા બે વર્ષથી આ પાર્ક ઉપર હક્ક જમાવીને બેઠું હતું. કોર્ટનાં આદેશ બાદ પણ આ જમીન ખાલી કરાવામાં આવી નહોતી.
સ્થાનિક વહિવટી તંત્રએ સત્યાગ્રહીઓને નોટિસ પાઠવી 24 કલાકમાં જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. છતાં સત્યાગ્રહીઓ ત્યાંથી ન હટતા સ્થાનિક પ્રસાશને પોલીસને સાથે રાખી આ કામગીરી આદરી હતી.
સત્યાગ્રહીઓએ પોલીસ અને અધિકારીઓને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સમગ્ર ઘટનામાં પોલીસ કંઈ સમજે તે પૂર્વે જ શહેરના એડિશનલ એસપી મુકુલ દ્વિવેદી, સિટી મેજીસ્ટ્રેટ રામઅરજ યાદવ, એસઓ પ્રદિપ કુમાર, એસઓ સંતોષકુમાર યાદવને ગોળી વાગી હતી.
સ્થાનિક કક્ષાએથી જાણકારી મળી તે મુજબ જ્યારે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકોનું ટોળુ ગુસ્સે ભરાયું હતું. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટોળુ બેકાબુ બનતાં હવામાં ફાયરિંગ કર્યું હતું. જેના પગલે ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્ત અધિકારીઓ અને કર્મીઓને તત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત સંતોષકુમાર યાદવનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. બીજી તરફ એસપી મુકુલ દ્વિવેદીને આગ્રાની નિયતી હોસ્પિટલમાં લઈ જવાતાં સારવાર વેળા તેમનું મોત નિપજ્યું હતું. હાલ 12 ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.અને મથુરા માં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને હુમલાખોરોને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.