કર્ણાટકમાં શપથ લીધાનાં અઢિ દિવસમાં યેદિયુરપ્પાએ આપવું પડ્યું રાજીનામું
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેરથયા બાદ શરૂ થયેલાં રાજકીય સ્ટંટમાં એકાએક બી એસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધાં હતા. બાદમાં તેમને બહુમતી સાબિત કરવા ફ્લોરટેસ્ટનો સમય આપવામાં આવ્યો હતો. જોકે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થાય તે પહેલાંજ તેમણે ગૃહમાં સીએમ પદ ઉપરથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે. આજે ચાર વાગે ફ્લોર ટેસ્ટમાં બીજેપીએ બહુમત સાબીત કરવાનો હતો. તે પહેલાં જ યેદિયુરપ્પાએ સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતાં ગૃહથી સીધા રાજ્યપાલની ઓફિસ જઈને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે.
ગૃહમાં સીએમ યેદિયુરપ્પાએ સંબોધન કરતા જણવ્યું કે, ફરી ચૂંટણી થશે તો ૧૫૦ સીટો મળશે, લોકસભામાં બધી ૨૮ બેઠકો જીતીશું. હું રાજ્યપાલ પાસે જઇશ અને મારું રાજીનામુ આપીશ. સીએમએ ભાષણ દરમિયાન કહ્યું કે, આજે મારી અગ્નિ પરીક્ષા છે. અમને ૧૧૩ સીટ મળી હોત તો રાજ્યની સ્થિતિ જ કંઈક અલગ હોત. રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણી આવી શકે છે. હું રાજ્યમાં ફરી જવા તૈયાર છું અને લોકોના દિલ જીતીને આવીશ. હું ખેડૂતોને બચાવવા માગુ છું. રાજ્યના લોકોની સેવા કરવા માગુ છું. લોકોના સારા દિવસો માટે જીવન સમર્પણ કરવા તૈયાર છું. ગરીબ ખેડૂતોને સારુ જીવન મળવું જોઈએ. બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી ખેડૂતો માટે કામ કરીશ. કર્ણાટકના ખેડૂતો રડી રહ્યા છે. અંદાજે 3700 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. હું ખેડૂતોની સેવા માટે હંમેશા સમર્પિત છું. મે ગામડે-ગામડે જઈને ખેડૂતોની સેવા કરી છે. બંને દળો એક બીજા સામે ખૂબ લડ્યો. કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન અવસરવાદી છે. મે છેલ્લા ૫ વર્ષમાં ઘણાં ઉતાર ચડાવ જોયા છે.
યેદિયુરપ્પાના રાજીનામાની અટકળો વચ્ચે કોંગ્રેસી નેતા ડી કે શિવકુમારે જણાવ્યું કે, મને આશા છે કે તેઓ ટ્રસ્ટ વોટ પહેલા ચોક્કસપણે રાજીનામું આપી દેશે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રતાપ ગૌડા પાટિલ વિધાનસભામાં આવી ગયા છે અને ધારાસભ્ય તરીકે શપથ લેશે. તેઓ કોંગ્રેસને દગો નહીં દે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે બંને નેતાઓએ પોતાની જાતને રૂમમાં અંદરથી બંધ કરી દીધા છે અને તેમણે કોંગ્રેસ નેતા સાથે જવાની ના પાડી છે. આ બંને નેતાઓએ પોલીસ સુરક્ષાની પણ માગણી કરી છે. અત્રે નોંધનીય છે કે, કર્ણાટકમાં હાલ ભાજપ પાસે ૧૦૪, કોંગ્રેસ પાસે ૭૮ અને જેડીએસ પાસે ૩૮ ધારાસભ્યો છે.