કોસંબા- હાંસોટને જોડતાં 18 કીમીના રસ્તાનું કરાશે વિસ્તૃતિકરણ
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા
ખાતે સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે રૂ..૩૧ કરોડના ખર્ચે તૈયાર નિર્માણ
પામનાર કોસંબા અને હાંસોટને જોડતાં ૧૮ કિ.મીના રોડને ૧૦ મીટર પહોળો કરવાના રસ્તાનું
ખાતમુહૂર્ત થયું હતું.
ખાતમુહુર્ત પ્રસંગે હાજર રહેલાં મંત્રી
ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં હયાત રસ્તાઓની સુધારણા, મજબૂત અને ટકાઉ બનાવવાની કામગીરી કરવાની
સરકારની નેમ છે. ગ્રામીણ સ્તરે મૂળભૂત સુવિધાઓ પુરી પાડવા રાજય સરકાર કટીબધ્ધ છે.
ગામડાઓમાં આંતરિક રસ્તા, ભૂગર્ભ ગટર
લાઇનની કામગીરી, હેન્ડપંપ, પીવાના પાણીની વ્યવસ્થા જેવી જરૂરી
સુવિધાઓ પુરી પાડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન, નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જયરામ
પટેલ અને શિવાલય ઈન્ફાસ્ટ્રકચરના ડાયરેક્ટર રૂદ્રરથસિંહ રાઠોડ સહિત ગજેન્દ્રભાઈ
પટેલ તેમજ અન્ય પદાધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.અત્રે
ઉલ્લેખનીય છે કે, હાંસોટ અને કોસંબાને
જોડતા માર્ગનું વિસ્તૃતિકરણ થવાના કારણે ભરૂચ અને સુરત જિલ્લાના વાહનચાલકો અને
ગામલોકોને મોટો ફાયદો થશે.