ગુજરાતી દીકરીને ગર્ભાશયના કેન્સરથી બચાવવા માટે પગલાં ભરવામાં આવશે: વિજય રૂપાણી
ગુજરાત - સૌરાષ્ટ્રમાં કેન્સરનાં રોગ અંગે જન જાગૃતિ લાવવા માટે 'શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટ' અને 'કેન્સર સંબંધિત શ્રેષ્ઠ આરોગ્ય ચિકિત્સા' માટે સજ્જ એવી એચ.સી.જી. સંસ્થાનાં સહયોગથી કેન્સર નિદાન-માર્ગદર્શનનાં કેમ્પનાં પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો. આ કેમ્પમાં મો, ગળુ, જડબા, બ્રેસ્ટ, તથા ગર્ભાશયના તથા તમામ પ્રકારના કેન્સરના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા માટે તથા શહેરના પ્રજાજનોને તેની ચુંગાલમાંથી બચાવવા માટે ''કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ'' હાથ ધરાયો છે. જન - જનના કલ્યાણનો વિચાર અને તેને અમલમાં મૂકવાની મહેચ્છા મનુષ્યને શ્રેષ્ઠતાની એક નવી ઊંચાઇ પર લઈ જાય છે. પરોપકાર, સદાચાર, સદ્વ્યવહાર, સહિષ્ણુતા, સહાનુભૂતિ વગેરે સામાજિક જીવનનાં આભૂષણો છે. પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા ‘‘સ્વ’’ની વેદનાને સામાજિક સંવેદનામાં પરિવર્તિત કરવાની મથામણ થઇ રહી છે. સુવિધાથી વંચિત સમાજના બાળકો માટે શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી સ્વીકારી તેમનું કલ્યાણ કરવાની ભાવના ટ્રસ્ટના માધ્યમ થકી સાર્થક થઈ રહી છે. પરોપકારની તમન્ના મનુષ્યને માનસિક સુખ આપવાની સાથે સાથે ઇશ્વરની નિકટ લઇ જાય છે.