ગુજરાતી સમાજના ભવનો બનાવવા તથા રીપેરીંગ માટેની સહાયમાં કરાયો વધારો
બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજના ભવનો ખરીદવા, વિસ્તરણ તેમજ બાંધકામના હેતમાટે અપાતી સહાય રૂા. ૨૨ લાખથી વધારી રૂા. ૪૦ લાખ કરાઇ હોવાની માહિતી બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી છે. મરામત, સમારકામ કે નવિનીકરણ માટે અપાતીરકમ પણ રૂા. ૬ લાખથી વધારી રૂા. ૧૦ લાખ કરવામાં આવી છે.
અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે અપાતી સહાયમાં બાંધકામના ખર્ચમાં થઈ રહેલ વધારાને ધ્યાનમાં લઈને નિર્ણાયક અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સહાયની રકમમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
આ મુજબ અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, ખરીદી તેમજ વિસ્તરણના હેતુ માટે અપાતી સહાયની રકમ રૂા. ૨૨ લાખથી વધારી રૂા. ૪૦ લાખ અથવા ખરેખર ખર્ચના ૪૦ ટકા બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી બિન નિવાસી ગુજરાતી સાથેનો નાતો વધુ મજબૂત બનશે, તેમ બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અગાઉ ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમ વધુમાં વધુ રૂા. ર૨ લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે વધુમાં વધુ રૂા. ૬ લાખની સહાય અથવા ખરેખર થયેલ ખર્ચના ૨૫ ટકા બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવામાં આવતી હતી. જેમાં હવે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.