ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું 63 વર્ષની ઉમરે થયું નિધન
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું કેન્સરની લાંબી માંદગી બાદ આજે સાંજે પણજીમ ખાતે નિધન થયું છે. તેમના નિવાસસ્થાન પર ભાજપના નેતાઓ અને સમર્થકોની ભીડ એકત્ર થવાનું શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી.
બે દિવસથી પારિકરની તબિયત વધારે બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના બચાવવા માટે ડોક્ટરોએ શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હતા. જોકે રવિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તેઓ પેન્ક્રિયાસના કેન્સર સામે લડી રહ્યા હતા. 63 વર્ષીય પારિકર ભાજપના સૌથી પ્રમાણિક અને ઉચ્ચ શિક્ષિત નેતાઓમાં સ્થાન પામતા હતા. ગોવામાં ભાજપનો ગઢ રચવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. નરેન્દ્ર મોદી સરકારે તેમને દેશના સંરક્ષણ મંત્રી પણ બનાવ્યા હતા. જોકે ગોવામાં તેમની ગેરહાજરીના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કાબૂ કરવા માટે તેમને પરત ગોવાના મુખ્યમંત્રી બનાવી મોકલવામાં આવ્યા હતા.
જોકે એ બાદ તરત જ તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમના નિધન બાદ રાષ્ટ્રીય કક્ષાએ અને ગોવામાં પણ ભાજપને એક દિગ્ગજ નેતાની ખોટ સાલશે.