Connect Gujarat
બ્લોગ

જવાહર બક્ષીનો પરિચય : આદિકવિ નરસિંહ મહેતાના વંશજ , સફળ કવિ – ગઝલકાર અને આધ્યાત્મિક ગુરુ

જવાહર બક્ષીનો પરિચય  : આદિકવિ  નરસિંહ મહેતાના વંશજ , સફળ કવિ – ગઝલકાર અને આધ્યાત્મિક ગુરુ
X

જવાહર બક્ષી “ ગુણથી ગુણાતીત ” અને “ પરેથી પરાત્પર ” તરફ ગતિશીલ યાત્રી છે. વ્યવસાયે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ છે પરંતુ સાહિત્યમાં પણ તેમણે અપ્રતિમ સફળતા હાંસલ કરી છે. “ તારાપણાના શહેરમાં ” (૧૯૯૯) અને “ પરપોટાના કિલ્લા ” (૨૦૧૨ ) તેમના ગઝલસંગ્રહો છે. “ નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા ” આગામી પુસ્તક છે. તેમને સાહિત્ય ક્ષેત્રે કરેલા પ્રદાન માટે વિવિધ એવોર્ડ્સ એનાયત થયા છે. મહારાષ્ટ્ર સ્ટેટ –ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યક્ષેત્રે લાઈફ ટાઇમ કોન્ટ્રીબ્યુશન માટે “ જીવન ગૌરવ ” એવોર્ડ , “ તારાપણાના શહેરમાં ” પુસ્તકને સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકેનો એવોર્ડ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મળ્યો હતો. ૧૯૯૯ થી ૨૦૦૪ એમ પાંચ વર્ષોમાં કોઈ પણ કાવ્ય સ્વરૂપમાં શ્રેષ્ઠ પ્રદાનને આપતો “ નર્મદ સુવર્ણચન્દ્રક ” ગઝલક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદાન માટે સૌપ્રથમ જવાહર બક્ષીને મળ્યો : જે ગઝલ સ્વરૂપમાં તેમના અત્યંત મહત્વપૂર્ણ પ્રદાનને દર્શાવે છે. ગઝલ ક્ષેત્રે આજીવન પ્રદાન માટે “ કલાપી એવોર્ડ ” મળ્યો હતો. એચ.એમ.વી, સારેગામા દ્વારા “ તારો વિયોગ ” , યુનિવર્સલ મ્યુઝીક દ્વારા “ તારા શહેરમાં ” અને ટાઈમ્સ મ્યુઝીક દ્વારા “ ગઝલ રુહાની ” સી.ડી. પ્રગટ થઈ છે , જેણે સફળતાના અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. જે ગુજરાતી ગઝલ સાહિત્ય માટે ગૌરવની વાત છે. વળી, તેઓ Transcendental Meditation ના ટીચર છે ; અધ્યાત્મિક ગુરુ છે.

“ એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી ;

પરપોટામાં કેદ પવનને કીધો જી . ”

આ બે પંક્તિઓમાં જીવનની ક્ષણભંગુરતાનો મર્મ બહુ સરળ શબ્દોમાં જવાહર બક્ષીએ વ્યક્ત કર્યો છે. ગઝલક્ષેત્રે ઉર્દૂ શબ્દબાહુલ્યને સ્થાને સરળ અસરકારક ગુજરાતી શબ્દો દ્વારા જીવન, તત્વજ્ઞાન અને અધ્યાત્મના ગૂઢ રહસ્યોને સહજ શબ્દરૂપ આપી શબ્દબદ્ધ કરવામાં સફળ થયા છે.

જવાહર બક્ષીનો જન્મ મહાશિવરાત્રિ વિ.સં.૨૦૦૩ માં તા. ૧૯ ફેબ્રુઆરી , ૧૯૪૭ માં જુનાગઢમાં થયો હતો. તેમના માતાનું નામ નીલાવતી અને પિતાનું નામ રવિરાય છે. તેમના ધર્મપત્નીનું નામ દક્ષા છે અને એકમાત્ર સંતાન પુત્રીનું નામ પૂજા અને જમાઈનું નામ જાગ્રત છે. પૌત્ર કબીર અને પૌત્રી હ્રેયા (Reya) છે, તેમણે તે સમયે જૂનાગઢની ‘સ્વામી વિવેકાનંદ વિનય મંદિર’ નામ ધરાવતી શાળામાંથી એસ.એસ.સી કર્યું હતું. શાળામાંથી જ અમૃત ઘાયલ, કિસ્મત કુરેશી વગેર ગઝલકારો તથા કાનજીમોટા બારોટ, દિવાળીબેન , પિંગળદાન ગઢવી જેવા લોકગાયકોના શ્રવણ-સંસર્ગનો લાભ મળ્યો.

જુનાગઢનું ગઝલ તરફી વાતાવરણ જવાહર બક્ષીની ગઝલ સર્જકતાને વિકસાવવામાં મહત્વનું પરિબળ બન્યું. માત્ર બાર વર્ષની બાળવયે નાગર મંડળના કવિ સંમેલનમાં છંદોબદ્ધ કવિતા રજૂ કરી શ્રોતાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. શાળાના ભીંતપત્રોમાં જવાહર બક્ષી વૃત્ત-છંદના કાવ્યો લખતા.

૧૯૬૪ માં સીડનહામ કોલેજમાં અભ્યાસાર્થે મુંબઈ ગયાં. બી.કોમ.ની ડીગ્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી મેળવી. જીવનભર સફળતાપુર્વક સટીક આંકડાઓ સાથે કામ પાર પાડતા રહ્યા છે , છતાં એનાથી સામે વહેણે તેમણે આધ્યાત્મિકતાની દિશામાં ખેડાણ કર્યું છે.

તેમને જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ થયો હતો. જયારે અભ્યાસ પૂર્ણ કર્યા પછીના શરૂઆતના વર્ષોમાં નાના, પિતા, કાકી, ફુઆ અને નાની બે બહેનોના ઉપરાઉપરી મૃત્યુ નીપજતાં તેમની ચેતનામાં જીવનની ક્ષણભંગુરતા પુષ્ટ થતી ગઈ. પરમ તરફ ખેંચાણ થયું.

આંકડા અને શૂન્ય સાથે તેમણે સંઘર્ષ ઝીલ્યો હશે. આ બધાથી પરે યોગસાધના, ચિંતન અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ તેઓ ‘પરે’ શબ્દની સાચી ઓળખ છે. જે ‘પરે’ ને સમજે છે તે ‘પરાત્પર’ને સમજે છે. ‘પરાત્પર’ એટલે ‘હાયર ધેન ધી હાઈએસ્ટ’ અને ‘બેટર ધેન ધી બેસ્ટ’. સી.જી. યૂન્ગ અનુસાર સામુહિક અવચેતન , રેશીયલ અનકોન્શિયસ સાથે આધ્યાત્મિકતાના તાર જોડાયેલા છે , કેમ કે તેઓ નરસિંહ મહેતાના વંશજ છે. નરસિંહ મહેતાના સાચા વંશજ હોવાનો પરિચય છે – પરાત્પર થવું. નરસિંહ મહેતા માટે રાધા-કૃષ્ણ કોઈ પૌરાણિક પાત્રો નહોતા , તેમના જીવન-પરિવારનો હિસ્સો હતા.

“ અખંડ મંડલાકર વ્યાપ્તં યેન ચરાચર , તત્પદ દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ | ” અર્થાત્ જે વિશ્વ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે ,તેમના ચરણ દર્શન કરવાનું માર્ગદર્શન સદગુરુ જ કરી શકે અને જવાહર બક્ષી એવું વ્યક્તિત્વ છે જે બધાને પરાત્પર તરફ દોરી શકે છે. કેમ કે Transcendental Meditation એમનો પ્રિય વિષય છે. માણસોને વિકારમુક્ત કરીને પરમશક્તિ તરફ , ભાવાતીત તરફ લઈ જવાનું અઘરું કામ જે ગુરુ પૂરું પાડે છે તે બધાં માટે પરમ વંદનીય છે.

ડો. જવાહર બક્ષીએ પરિપુખ્ત વયે પીએચ. ડી. કર્યું . પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પર નહી , આધ્યાત્મિકતા ઉપર. “ નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા ” એ એમના મહાનિબંધનો વિષય હતો. આંકડા જ્યાં સમાપ્ત થાય છે ત્યાં આધ્યાત્મિકતા શરુ થાય છે. દુનિયામાં બધા આંકડા એક અને શૂન્યની વચ્ચે સમાહિત થઈ જાય છે, એ જ આધ્યાત્મિકતા છે. કોઈ કહે છે , ‘ ઈશ્વર એક છે ’ તો કોઈ કહે છે , ‘શૂન્ય એ જ ઈશ્વર છે.’ આમ પૂર્ણ એ જ સાચી આધ્યાત્મિક છે. એ વિષય પર એમનું ખેડાણ છે.

જવાહર બક્ષીએ તેમના પહેલા ગઝલ સંગ્રહ “ તારાપણાના શહેરમાં ” તેમને મન સ્વરચિત ગઝલ શું છે તે માટે લખ્યું છે : “ ગઝલ મારા માટે મર્યાદામાં રહીને અનંતને પામવાની યાત્રા છે અવ્યક્તને વ્યક્ત અથવા વ્યક્તને ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી પુનર્વ્યક્ત કરવાની અને વળી તેને વિલક્ષણતાપૂર્વક કાવ્યમય સૌંદર્યથી ઢાંકી દેવાની લીલા એટલે ગઝલ.” નરસિંહ મહેતાએ પણ અવ્યક્તને વ્યક્ત અને વ્યક્તની ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી પુનર્વ્યક્તિ કવિતામાં સાધી છે. તેમનું આ રીતે પણ વંશજ તરીકે નરસિંહ મહેતા સાથે અનુસંધાન જોઈ શકાય છે. નરસિંહ મહેતાની ‘જળકમળ છાંડી જાને બાળા..’, ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા ..’ જેવી અનેક રચનાઓમાં વણાયેલી ગૂઢ આધ્યાત્મિકતા તથા તેમાં પ્રકટ વૈજ્ઞાનિકતાને શસ્ત્રાધાર ટાંકી , વૈજ્ઞાનિક સંશોધનોનું પ્રમાણ રજૂ કરતાં જવાહર બક્ષી કહે છે : “ નરસિંહ મહેતા બિનસાંપ્રદાયિક કવિ છે , ઋષિ છે, અવધૂત છે, યોગી છે.”

બીજા બધા ગઝલકારો કરતા તેઓ વિશિષ્ટ કેમ છે એનું કારણ ચકાસતા એક વાત સ્પષ્ટપણે સમજાય છે તેમની ગઝલ સ્વાનુભૂતિમાં ઝબકોળાઈને લખાઈ છે એટલે તાજગીસભર છે. તેમણે સંતોષ ન થાય ત્યાં સુધી સ્વ સાથે જ સંઘર્ષ કરવો પડ્યો છે , અભિવ્યક્તિ બાબતે. એટલે જ તો એમને લખ્યું છે : “ શક્યતાઓમાં સળગ્યા કર્યો, શબ્દ સાથેની રમત મોંઘી પડી.” છતાં એ રમત એટલી સફળ રહી કે ૧૯૭૩-૭૪ માં મુંબઈ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે જવાહર બક્ષીની અસંગ્રહસ્થ ગઝલોનો સમાવેશ થયો એ એક ઐતિહાસિક ઘડી ગણી શકાય. પરંતુ એ પછી જવાહર બક્ષી બાર વર્ષ માટે વિદેશ ચાલ્યા ગયાં. , ૧૯૭૬-૮૬ દરમિયાન અને પછી મહર્ષિ મહેશ યોગીના સાંનિધ્યે યોગશિક્ષણ આપવા વિશ્વભ્રમણ કર્યું. પરિણામે તેમની ચેતના વધુ ઉજ્જવળ થઈ અને ગુજરાતી ગઝલ પરંપરાગત ભાવજગતના બંધિયારપણા માંથી છૂટીને જાણે નવું તાજગીભર્યું આધુનિક અને અલગ રૂપ ધારણ કર્યું. ગઝલ સ્વરૂપમાં તળપદી કાવ્યપ્રકારોનું ઉમેરણ કરી તેને નવું રૂપ આપ્યું : દોહા ગઝલ, ગરબા ગઝલ, ગીત ગઝલ, આખ્યાન ગઝલ, ભજન ગઝલ વગેરે અનેક પ્રકારો ગણી શકાય. વળી, ગઝલ પર થતા આક્ષેપોનો જડબાતોડ જવાબ એક મૂડ(ભાવ)ની , એક સરખા કાફિયાની, એક રદીફની , મત્લાની ગઝલોના ચાર ચાર ગુચ્છ પ્રગટ કરીને આપ્યો. ‘રે લોલ ‘ રદીફવાળી ગઝલથી ગુજરાતી કવિતામાં ગીત ગઝલનો નવો પ્રકાર પ્રચલિત બન્યો. કહી શકાય કે ગુજરાતી ગઝલના ગુજરાતીપણાનો રખેવાળ મળી ગયો જેને ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવીને ગઝલને નવી ઉંચાઈ બક્ષી. તેમની ગઝલમાં ઈશ્કેમિજાજી , ઈશ્કેહકીકી અને પાત્રગઝલ જોવા મળે છે. તેમના પ્રેયસીના ઇંગ્લેન્ડ જતા પહેલાની, જતા વખતની, ગયા પછી તરતના વિવિધ ભાવની ગઝલ લખી છે. દસ ગઝલની હારમાળા છે, વિશેષ પ્રયોગ થયો છે, પ્રેયસી સાથે પુનર્મિલન, લગ્ન , યોગસાધના , આદ્યાત્મિક અનુભૂતિઓ, સાંપ્રત જીવન અને આધુનિક સંવેદનશીલતાના તત્વો વડે તેમની ગઝલનું સ્વરૂપ ઘડાયુ છે.

તેમણે વિશ્વ કક્ષાએ ભારતીય તત્વજ્ઞાન, યોગ , ધ્યાન અને સંત સાહિત્ય વિશે વ્યાખ્યાન આપ્યા, ગઝલ અંગેની વર્કશોપ ભારત,યુ.કે., યુ.એસ.એ.આફ્રિકા વગેરેમાં કરી છે. નરસિહ મહેતા, મીરા , પ્રેમાનંદ, હરીન્દ્ર દવે થી સિતાંસુ યશશ્ચન્દ્રના ગુજરાતના પરંપરાગત સંગીત અને સંત સાહિત્ય, કવિતાની સી.ડી. પ્રોડ્યુસ કરી છે, તેમના સંશોધન પર આધારિત ટાઈમ્સ મ્યુઝિક દ્વારા લોકપ્રિય ચાર સંગીત સી.ડી. ‘કબીર,મીરા, સુરદાસ અને તુલસીદાસ ”Saints of India”માં તેમણે કોમેન્ટરી આપી છે.

જવાહર બક્ષી કહે છે : “ ગુરુ તમને શોધતા હોય છે, નિષ્ઠા હોય તો તમને યોગ્ય ગુરુની પ્રાપ્તિ થાય જ છે.” તેઓ કહે છે : “ મારો આદર્શ અલૌકિક છે, હું પ્રભાવિત ઘણાથી થયો છું. પરંતુ હું મને કદી બીજાની જેમ ઢાળવાનો પ્રયત્ન કરતો નથી.”

“ તારાપણાના શહેરમાં ” પ્રથમ ગઝલસંગ્રહ હોવા છતાં સર્વશ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકે પુરસ્કૃત થયો છે . કારણ કે જવાહર બક્ષીએ લખ્યું છે : “ શુદ્ધ અને પૂર્ણરૂપે કાવ્યસૌંદર્ય પ્રગટ થાય તે દૃષ્ટિ અવશ્ય રાખી છે. હું તો પ્રત્યેક ગઝલના પ્રત્યેક શેરના પ્રત્યેક શબ્દ પાસે ખૂબ અને વારંવાર રોકાયો છું. તેથી જ પહેલી ગઝલ (૧૯૫૯) લખ્યા બાદ લગભગ ચાલીસ વર્ષે અને મેં માન્ય રાખેલી પહેલી ગઝલ (અનુભવ-૧૯૬૭)બાદ ત્રીસ વર્ષે આ પહેલો સંગ્રહ આવે છે.”

જવાહર બક્ષીએ રચેલી સાડા આઠસો ગઝલો માંથી તેમણે લખેલી પણ ન ગમેલી સાતસો જેટલી ગઝલો ફાડી નાંખી હતી. બાકી માંથી એકસો આઠ ગઝલો “ તારાપણાના શહેરમાં ” માં સમાવિષ્ટ કરી હતી. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેઓ નાના હતા રોમનાં જાણીતા શિલ્પકાર માઈકલ એન્જેલોનો એક કિસ્સો વાંચ્યો હતો. માઈકલ એન્જેલોને કોઈએ પૂછ્યું કે આવા સરસ શિલ્પો સતમે બનાવ્યા ? શિલ્પકારનો જવાબ હતો કે , “ આ સુંદર શિલ્પ તો માર્બલમાં છુપાયેલા જ હતા , મેં તો વધારાનો માર્બલ એના પરથી હઠાવ્યો છે. એક વખત માઈકલ એન્જેલો દારૂના પીઠામાં (પબ)માં ગયો, એ બીયર પીવા બેઠો. ગ્લાસ હોઠે અડાડ્યો અને માલિકને કહ્યું કે , બીયર ખાટો છે. તરત જ માલિકે બીયર ચાખ્યા વગર બીયરનું આખું પીપ ઢોળી દીધું. માઈકલ એન્જેલોને જાણે એક સંદેશ મળી ગયો કે મારે પણ જગતને શ્રેષ્ઠ જ આપવું છે અને એ ઉભો થઈ ગયો અને બધા શિલ્પ પર સફેદ કૂચડો ફેરવી દીધો. ટૂંકમાં , “ જે ઉત્તમ હોય તે જ ભાવકોને આપવું બાકી બધું ગંગામાં પધરાવી દેવું. શક્ય છે કે મને ઉત્તમ ન લાગે તે બીજાને ઉત્તમ લાગે પણ ખરું. પણ એ જવાબદારી મેં સ્વીકારી છે, kalklani કળાની શ્રેષ્ઠતા અને શ્રેષ્ઠ કળા એ મારો પ્રયત્ન રહ્યો છે.”

જવાહર બક્ષી - એક એવું નામ છે જે શબ્દ-લય અને સંગીતના માધ્યમથી આધ્યાત્મિક ભાવ-આવરણ રચી શકે છે.

સંદર્ભ :

  1. કે.ઈ.સી.કેમ્પસ, અંકલેશ્વરમાં ૯મી ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ આયોજિત “૨૪માં સ્થાપક દિન સ્મૃતિ વ્યાખ્યાન”માં જવાહર બક્ષીએ આપેલું “ નરસિંહ મહેતાની આધ્યાત્મિકતા” વ્યાખ્યાન.
  2. “તારાપણાના શહેરમાં” અને “પરપોટાના કિલ્લા” ગઝલસંગ્રહ
  3. જવાહર બક્ષી સાથે ટેલીફોનીક પ્રશ્નનોત્તરી (તા.૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૮)

Blog by : Jayshree Chaudhary

Next Story