જાણો રાજકોટની પ્રાચીન ગરૂડની ગરબીનું શું છે માહાત્મ્ય
રાજકોટની સૌથી પ્રાચીન ગરબી તરીકે ઓળખાતી ગરૂડની ગરબીનું શહેરનાં રામનાથ પરા વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. સાગના લાકડા માંથી ગરૂડ બનાવવામાં આવે છે. જેને મલમલના કાપડ થી શણગારવામાં આવે છે. એક માન્યતા મુજબ જે પણ બાળકો ગરૂડમાં બેસી મા અંબાજીના દર્શન કરે તે વર્ષમાં સૌથી ઓછા બિમાર પડે છે.
આ ગરબી મંડળનાં આયોજક કલ્પેશભાઈ ગમારાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે રાજાશાહિ વખતે આ વિસ્તાર રાજકોટનો છેવાડાનો વિસ્તાર કહેવાતો હતો. કારણ કે આ વિસ્તાર ત્યારે ગઢ્ની બહારનો વિસ્તાર ગણાતો હતો. આજે પણ આ વિસ્તારની બાજુમાં જ ગઢ આવેલો છે. ત્યારે રાજકોટનાં રાજા લાખાજીરાજ મહારાજે અહીં અંબાજી માતાજીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ભક્તો દ્વારા અહીં નવરાત્રીમાં ગરબીની શરૂઆત કરી હતી.
કલ્પેશભાઈ ગમારાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યુ હતુ કે 70 વર્ષ પહેલા સુંદરભાઈ નામના કારીગરે સાગના લાકડા માંથી ગરૂડ બનાવ્યુ હતુ. હાલ તે જ ગરૂડનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા દોરડાથી ખેંચીને ગરૂડને ઉપર નીચે લાવવામાં આવતુ હતુ. જો કે સમય જતા ઈલેકટ્રોનિક મશીનની મદદથી ગરૂડને ઉપર નીચે લાવવામાં આવે છે. આ ગરૂડનું વજન અંદાજે 160 કિલો જેટલુ છે. તેમજ નવરાત્રી દરમિયાન 300 જેટલા બાળકો ગરૂજમાં બેસી મા અંબાના દર્શન કરે છે.