જામનગરઃ- રબારીકાના ખેડૂતનો પાક નિષ્ફળ જવાની બીકે ગળેફાંસો ખાઈ આપઘાત
જામનગર જીલ્લામાં આ વર્ષે અપૂરતા વરસાદના કારણે ખેત ઉત્પાદનમાં નુકશાની જવાના કારણે ખેડૂતથી માંડી સામાન્ય વર્ગના લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ખેડૂતોમાં મુખ્ય આધાર ખેતી હોય પાક નિષ્ફળ જવાથી ચિંતા ફરી વળી છે. તેવામાં જામજોધપુરના વધુ એક ખેડૂતે આત્મહત્યાનું આત્મઘાતી પગલું ભરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામજોધપુર તાલુકાનાં રબારીકા ગામે રહેતા રમેશ દેવશીભાઈ મકવાણા નામના ખેડૂતએ આ વર્ષે અપુરતા વરસાદ વચ્ચે પોતાની ખેતીની જમીનમાં કરેલ પાકનું ઉત્પાદન ન થતાં આર્થિક ભીંસમાં આવી ગયા હતા. એક બાજુ રમેશભાઈ પરિવારમાં પાંચ ભાઈઓમાં સૌથી મોટા વડીલ હોય અને પરિવારના ભરણ પોષણની જવાબદારીની ચિંતા તેમને સતાવી રહી હતી. આથી અંતે રમેશભાઈ મકવાણાએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખેડૂતના આપઘાતના પગલે રબારીકા સહિત જામજોધપુર પંથકમાં શોકનું મોજુ ફેલાઈ જવા પામ્યું હતું. આમ રબારીકા ગામના આ ખેડૂતના આપઘાત પાછળ પાક નિષ્ફળ જવાનું કારણ છે કે અન્ય કોઈ કારણથી આ આત્મઘાતી પગલું ભર્યુ છે તે અંગે જામજોધપુર પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.