જીર્ણ થઇ ગયેલ મકાનો ના માલિકો ને નગરપાલિકા ની નોટિસ
ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા મળીને 436 નોટિસ ફટકારાય
ભરૂચ નગરસેવા સદન દ્વારા ૩૯૬ મકાન માલિકોને જયારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 40 જર્જરિત અને કાચા મકાનો ઉતારી લેવા નોટિસ પાઠવવામાં આવી છે.ચોમાસાને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરાઈ હોવાનું નગરપાલિકા સત્તાધીશો જણાવી રહ્યા છે.
ભરૂચ જીલ્લા ના ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તાર ની અંદાજીત 3.75 લાખ ની વસ્તી છે આ વસ્તી માં દિવસે દિવસે હરણફાળ વધારો થઇ રહ્યો છે,ભરૂચ અને અંકલેશ્વર શહેર નર્મદા નદી ના કિનારે વસેલા છે એટલે ધીરે ધીરે લોકો જુના શહેર જે નદી ના કિનારે છે તેને છોડી નવા શહેર તરફ પલાયન કરી રહ્યા છે. જુના ભરૂચ અને અંકલેશ્વર માં આવેલ કાચા મકાનો ને નગર સેવાસદન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરના ભરૂચ માં ૩૯૬ મકાન માલિકોને જર્જરિત અને કાચા મકાનો ઉતારી લેવા નોટિસ પાઠવવામાં આવી છે.
જયારે અંકલેશ્વર માં 40 મકાનો ને પણ આવી જ રીતે નોટિસ ફટકારવા માં આવી છે. કાળઝાળ ગરમી બાદ ભરૂચમાં ચોમાસા ના ભણકારા વાગી રહયા છે. ભરૂચને કાશી પછીનું બીજા નંબરનું સૌથી જુનુ શહેર ગણવામાં આવે છે આથી ભરૂચમાં વર્ષો જૂના મકાનોની સંખ્યા ગુજરાત ના અન્ય કોઈ જીલ્લા કરતા વધારે છે. ચોમાસા દરમ્યાન આવા મકાનો જ મોટી દુર્ઘટનાનું કારણ બનતા હોય છે આથી નગરપાલિકા દર વર્ષે જુના અને જર્જરિત મકાનોને ઉતારી લેવા મકાન માલિકોને નોટિસ પાઠવતી હોય છે.
આ વર્ષે પણ નગર સેવાસદન દ્વારા શહેરનાં કાચા અને જર્જરિત મકાનો ના મકાન માલિકો ને ઉતારી લેવા નોટિસ ફટકારી છે. નગરપાલિકા દ્વારા આ અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા ઘણો વર્ષોથી નગરપાલિકા મકાન માલીકોને જર્જરિત મકાનો ઉતારી લેવા નોટિસ પાઠવે છે પરંતુ નોટિસ માત્ર કાગળ બનીને જ વહી જાય છે અને ચોમાસામાં રહીશોનાં માથે જર્જરિત મકાન રૂપી મોત તાંડવ કરે છે ત્યારે નગરપાલિકા ગંભીરતા દાખવી ચોક્કસ કામગીરી કરે એવી માંગણી શહેરીજનો માં ઉઠી છે.
બીજા નંબરના સૌથી જુના શહેર એવા ભરૂચમાં અનેક ઐતિહાસિક ઈમારતો પણ જર્જરિત હાલતમાં છે ત્યારે નગરપાલિકા આવી ઈમારતોની જાળવણી કરે અને જર્જરિટ મકાન માલિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે એ જરૂરી છે.