તાપી: ગડત ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શન માટે ૭ દિવસીય તાલીમ શિબીર યોજાઈ
તાપી જિલ્લા કૃષિ વિભાગ દ્વારા ગડત આશ્રમ શાળા ખાતે તા.૫ થી ૧૧ ડિસેમ્બર દરમ્યાન પ્રાકૃતિક ખેતી અંગે કૃષિ તાલીમ કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે આયોજિત કાર્યશાળામા પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચ ઘટાડી આવકમા કેવી રીતે વૃધ્ધિ કરી શકાય તે અંગે સઘન તાલીમ આપવામા આવી હતી.
ખાસ કરીને રસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એટલે કે રસાયણિક ખેતીથી જળ, જમીન અને વાતાવરણ તથા ખાદ્ય પેદાશો પણ દુષિત થઇ રહી છે, પરિણામે વાતાવરણ બગડતા અસાધ્ય રોગોનું પ્રામાણ વધી રહ્યુ છે, આ સમસ્યાના નિવારણ અંગે પ્રાકૃતિક કૃષિનો અભિગમ અપનાવી ખેતી ખર્ચ ઘટાડી શકાય અને રસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી સેંદ્ર્રિય ખાતર પશુપાલનની આડપેદાશો તથા કુદરતી સંસાધનોના ઉપયોગને ઉત્તેજન આપવા ખેડુતોની તાલીમ આપી વધુને વધુ ખેડુતો સુધી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ પહોચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ઉત્પાદન પર થતા ખર્ચ ઘટાડી ઉત્પાદનમા વધારો કરી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન માટે રાજ્ય કક્ષાના વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતું, તાપી જિલ્લાના ૭૫૦ જેટલા ખેડૂતો તાલીમર્થીઓને સાત દિવસીય બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૪ પરથી જીવંત પ્રસારણ દ્વારા તાલીમ આપી માસ્ટર ટ્રેનર તૈયાર કરવામા આવ્યા હતા.
આમ પ્રાકૃતિક ખેતીના આ માસ્ટર ટ્રેનરો દ્વારા જિલ્લાના અન્ય ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેનો વ્યાપ વધે તથા ખેડુતોની ઉત્તરોત્તર પ્રગતિ થાય જેને ધ્યાનમા રાખી ગામદીઠ એક થી બે ખેડુતો પસંદ કરી ટ્રેનર તરીકે તાલીમ આપવા જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા આયોજન કરવામા આવ્યુ હતું. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા અને પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી સમગ્ર કાર્યક્રમનુ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ. જેનો મોટી સંખ્યામાં ખેડુતોએ લાભ લીધો હતો.