Connect Gujarat
ગુજરાત

દાહણું પાસે માલગાડીમાં આગ લાગતા ટ્રેનો પાંચ કલાક મોડી : મુસાફરો અટવાયા

દાહણું પાસે માલગાડીમાં આગ લાગતા ટ્રેનો પાંચ કલાક મોડી :  મુસાફરો અટવાયા
X

સુરતથી હરીદ્વાર જઈ રહેલા ૩૦૦ જેટલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

દહાણું પાસે માલ ગાડીમાં આગ લાગી હતી.આગ લાગવાના કારણે ટ્રેનો પાચ કલાક થી વધુ મોડી રહી હોવાની માહિતી સાપડી રહી છે.ભાઈ બીજના દિવસે માલગાડીમાં આગ લાગતાં હજારો મુસાફરો અટવાયા હતા.

અમદાવાદ-મુંબઇ લાઇન ઉપર દહાણુ-વાનગાંવ પાસે એક ગુડ્સ ટ્રેનના કન્ટેનરમાં આગ લાગી હતી જેના કારણે મુંબઈથી સુરત સહિત અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. દુરન્તો, લોકશક્તિ સહિતની ટ્રેનોના ટાઈમટેબલ ખોરવાયા છે અને અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા તો કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. વલસાડ એક્સપ્રેસ અને ફ્લાઈંગ રાણી ટ્રેન રદ કરાઈ છે. તો અમદાવાદથી ઉપડતી કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ અટકાવીને પરત મોકલાઈ છે. જેના પરિણામે હજારો યાત્રીઓ અટવાઇ પડ્યાં છે.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે કન્ટેનર બળીને ટ્રેક પર ચોંટી ગયું છે. હવે આ ટ્રેક કાપીને કન્ટેનર દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેની જગ્યાએ નવો ટ્રેક નાંખવામાં આવી રહ્યો છે અને બંને તરફની લાઈનો બંધ રાખવામાં આવી છે. દરિયાઈ વિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી ન શકતાં આખુ કન્ટેનર આગની લપેટમાં આવી ગયું અને ટ્રેક પર ચોંટી ગયું. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું છે અને ટ્રેક ક્લીયરન્સ મળ્યા બાદ રેલ વ્યવહાર પુર્વવત કરાશે.

ઉલ્લેખનીય છે કે,દહાણું પાસે માલગાડીમાં કોઈ કારણોસર એકાએક આગ ભભૂકી હતી. આગ લાગવાના કારણે માલગાડી પાછળ દોડતી ઘણી ટ્રેનો મોડી પડી હતી અને ટ્રેનો મોડી પડવાના કારણે હજારો મુસાફરો અટવાયા હતા. હાલમં તો માલગાડીમાં આગના કારણે ટ્રેનો પાંચ કલાકથી વધુ મોડી ચાલી રહી હોવાની માહિતી સાંપડી રહી છે. ભાઈબીજના દિવસે જ માલગાડીમાં આગ લાગતાં હજારો મુસાફરો અટવાયા હતા તેમજ સુરતથી હરીદ્વાર જઈ રહેલા ૩૦૦ જેટલા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Next Story