ના નેતા છે ના નીતિ છે , એક ટોળું ભેગું કરી ને સરકાર બનાવા નીકળ્યા છે , અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર
ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તારીખ 26મીએ ભરૂચનાં મેહમાન બન્યા હતા. તેઓએ ચૂંટણીના પ્રચાર ની શરૂઆત વાગરા થી કરી હતી, તેમને જાહેર જનસભા સંબોધતા જણાવ્યુ હતુ કે મે વાગરા થી શરૂઆત કરવાનું વિચાર્યું કારણ કે અમે 150 સીટ નક્કી કરી છે અને 151 મી વાગરા અપાવશે.
તેઓએ જણાવ્યુ હતુ કે આ 2017 ની ચૂંટણી કોઈ સરકારને ફરી સત્તા પર લાવા માટે નથી, આ ચૂંટણી તો મોદીજી એ શરુ કરેલી વિકાસ યાત્રા અવિરત ચાલુ રહે એના માટે છે, તેમને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રોજ નવા કપડા પહેરીને નીકળી પડે છે, કોંગ્રેસ કયા મુદ્દાને લઈને ચૂંટણી લડવા નીકળી છે, કોંગ્રેસનો એજન્ડા શું છે અને કોના નેતૃત્વમાં ચૂંટણી લડવા નીકળી છે?
તેઓએ રાહુલ ગાંધીને કહ્યું કે તમે અમારો હિસાબ માંગો છો, પહેલા તમારો તો હિસાબ આપો કે તમારી સરકારમાં તમે શું કામ કર્યા ? ગુજરાત ની જનતા પૂછે છે તમે 10વર્ષ ની સરકાર માં ગુજરાત માટે શું કર્યું છે ?
વધુમાં શાહે કહ્યુ 95 પેલા શું તમારા ગામડામાં 24 કલાક વીજળી આવતી હતી ? રાત પડે એટલે વીજળી ડૂલ થઇ જતી હતી , નરેન્દ્રભાઈનાં આવ્યા પછી 24 કલાક વીજળી ચાલુ થઇ ગઈ તેમ તેઓએ આ સભા સંબોધતા જણાવ્યુ હતુ.
ગરીબ બહેનોના ઘરમાં ગેસના ચૂલા, ગરીબ આદિવાસીઓના ઘરમાં શૌચાલય તથા વનબંધુ યોજનાથી આદિવાસીના ઘર, ગામ, ખેતર કે વિસ્તારમાં વિકાસ પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યુ છે.
મોદી સરકારનાં ત્રણ વર્ષના સમયગાળામાં ગુજરાતને બુલેટ ટ્રેનની ભેટ મળી, ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું, રો-રો ફેરી સેવા શરુ થઈ અને 2500 કિ.મી. હાઈવેનું નિર્માણ થયુ.
કોંગ્રેસની સરકારમાં 13માં નાણાપંચમાં ગુજરાતને બજેટમાં 63,343 કરોડ રુપિયા મળતા હતા. જેમાં નરેન્દ્રભાઈનાં વડાપ્રધાન બન્યા પછી વધારો કરી 1,58,377 કરોડ કરવામાં આવ્યા,10 વર્ષ સુધી સોનિયા-મનમોહનની સરકારમાં આપણા ઓઈલ અને ગેસની રોયલ્ટીના પૈસા નહોતા આવતા પણ નરેન્દ્રભાઈ ની સરકારમાં 8 મહિનામાં જ 8,000 કરોડ રુપિયા દર વર્ષે ગુજરાતના ઓઈલ અને ગેસના રોયલ્ટીના પૈસા આવતા થયા.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ્યારે જનતા પાસે હાથ જોડીને જનાદેશ લેવા જાય છે ત્યારે પાઈ પાઈનો હિસાબ લઈને જાય છે.