નિવૃત PSIના પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો
રાજકોટમાં ત્રણ દિવસ પૂર્વે થયેલ નિવૃત પી.એસ.આઈના પુત્રની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. જોકે, હજુ પણ બે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે.
રાજકોટમાં નિવૃત પોલીસ અધિકારીના યુવાન પુત્ર ધરમદાન ગઢવીને ત્રણ જેટલા સખ્શો સાથે તારીખ 31મી ઓગષ્ટની રાત્રે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી અને ઝગડો થયો હતો. જેમાં ધરમને ચપ્પુના ઘા મારીને ત્રણેય હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત ધરમે હોસ્પિટલમાં દમ તોડયો હતો.
નિવૃત પી.એસ.આઈના પુત્રની હત્યાની તપાસ આગળ વધારતા પોલીસે સૌપ્રથમ તો ધરમદાનના મિત્રોની પુછપરછ હાથ ધરી હતી. પોલીસને ધરમદાનના મિત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ધરમદાન તેના એક મિત્રની કિંમતી ઘડિયાળના પૈસાની લેતી દેતીમાં સમાધાન કરાવવા વચ્ચે પડયો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી છે.
ઘટનામાં પોલીસે ત્રણ સખ્શો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં રિઝવાન દલ નામના શખ્સને ઝડપી પાડયો છે. જ્યારે હજુ બે આરોપી મનિષ પનારા અને ચેતન દરજી પોલિસ પહોંચથી દૂર છે.