પશ્ચિમ રેલવે કેશલેસ દંડની વસુલાત કરશે
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન માંથી ઝડપાતા ખુદાબક્ષો પાસેથી હવે કેશલેસ દંડની વસુલાત કરવાની સુવિધાને વિકસાવવાનો નિર્ણય કર્યો છે. મુંબઇના અંધેરી રેલવે સ્ટેશને પ્રયોગ સફળ થયા પછી હવે પશ્ચિમ રેલવે આરપીએફ સાથે મળી બોરીવલી, દાદર, વાપી, વલસાડ, સુરત સ્ટેશનને પીઓએસ મશીન મુકવાની તૈયારી કરી રહ્યા છે.
વિના ટિકીટ પ્રવાસ કરનારા પેસેન્જરો અને રેલવે એક્ટની જુદી જુદી ધારાઓમાં દંડની વસુલાતની સત્તા આરપીએફને છે, પશ્ચિમ રેલવેએ હવે રેલવેમાં પણ કેશલેસ દંડની સિસ્ટમ અમલી બનાવવા નિર્ણય લીધો છે.
વેસ્ટર્ન રેલવે અને આરપીએફ દ્રારા મુંબઈના અંધેરી સ્ટેશને કાઉન્ટર ખોલી પીઓએસ મશીનથી કેશલેસ દંડની વસુલાત શરૂ કરી છે. રેલવેના જે ગુનામાં રોકડ દંડની જોગવાઈ છે એવા કિસ્સામાં આરોપીઓ પાસે રોકડ ન હોય પરંતુ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોય તો પોઇન્ટ ઓફ સેલ મશીનથી દંડની સ્થળ પર વસુલાત કરવામાં આવે છે.
રેલવે અધિનિયમની કલમ 155 (1) , 162 .147.145 (બ) 141 હેઠળ આ દંડની વસુલાત કરાઈ રહી છે,આ નિયમ હેઠળ બિનજરૂરી ચેઇન પુલિંગ કરવું,મહિલાઓના અનામત કોચમાં પુરુષ પેસેન્જરનો બિનઅધિકૃત પ્રવાસ જેવા મામલાઓમાં દંડની વસુલાત વધુ થઈ રહી છે, પશ્ચિમ રેલવે અને આરપીએફ મુંબઈ ડિવિઝનના બોરીવલી, દાદર, વાપી, વલસાડ, સુરત જેવા સ્ટેશનોએ આ યોજના હવે પછી લાગુ કરશે તેમ રેલવેના સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.