Connect Gujarat
દેશ

પાકિસ્તાને ફરી કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન : ૪ જવાન શહીદ

પાકિસ્તાને ફરી કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન : ૪ જવાન શહીદ
X

ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા

સરહદ પર ફરી એક વખત પાકિસ્તાને નાપાક હરકત કરતા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુના રામગઢ સેકટરમાં થયેલ આ ફાયરિંગમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા છે. જમ્મુના રામગઢ સેકટરની ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાનની તરફથી કરાયેલ ફાયરિંગમાં બીએસએફના એક આસિસ્ટન્ટ કમાંડેંટ સહિત ૪ જવાન શહીદ થયા છે. મંગળવારે મોડી રાત્રે થયેલા આ ફાયરિંગમાં અન્ય ૫ જવાન ઘાયલ પણ થયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજીબાજુ સરહદ પર ભારતીય જવાનો પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.

છેલ્લાં કેટલાંક સમયમાં પાકિસ્તાનની તરફથી સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. શનિવારના રોજ પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ અખનૂરના પરગવાલ સેકટરમાં ભારે ગોળીબાર કર્યો હતો, તેના લીધે બીએસએફના બે જવાન કાર્યવાહી દરમ્યાન શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ તે સમયે થઇ રહી છે, જ્યારે થોડા દિવસ પહેલાં જ ભારત-પાક વચ્ચે ડીજીએમઓ સ્તર પર સરહદ પર શાંતિ માટે પહેલ કરવાની દિશામાં પગલાં ઉઠાવવાનો નિર્ણય કરાયો હતો.

શનિવાર અને રવિવારના રોજ પાકિસ્તાની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યા બાદ પાકિસ્તાનની તરફથી અનુરોધ કરાયા બાદ સોમવાર સાંજે આર.એસ.પુરામાં આવેલ ભારત-પાક સરહદ પર ફ્લેગ મીટિંગનું આયોજન પણ થયું હતું. આ બેઠકમાં બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સના કેટલાંય વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા.

બેઠક દરમ્યાન ભારતે પાકિસ્તાનના અધિકારીઓ સાથે સીઝફાયર ઉલ્લંઘનની ઘટના પર વિરોધ વ્યકત કરતાં શાંતિ સ્થાપવા માટે અનુકૂળ માહોલ બનાવાની વાત કહી હતી. જ્યારે પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ ભારતને સરહદ પર કાર્યવાહી રોકવાનો અનુરોધ કરતાં સરહદ અને નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન નહીં કરવાનું વચન આપ્યું હતું.

Next Story