Connect Gujarat
ગુજરાત

પાલિતાણામાં યુવાને લગ્નની પહેલી રાત્રે જ કેરોસીન છાંટી કર્યું અગ્નિસ્નાન

પાલિતાણામાં યુવાને લગ્નની પહેલી રાત્રે જ કેરોસીન છાંટી કર્યું અગ્નિસ્નાન
X

પાલિતાણા શહેરના ભીલવાડા વિસ્તારમાં રહેતાં યુવાનના ગઈકાલે લગ્ન થયાં હતા. લગ્નની પ્રથમ રાત્રિના જ જાતેથી શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં પ્રથમ પાલિતાણા બાદ ભાવનગર ખસેડાયાં હતા. જ્યાં તેનું ગઈ મોડીરાત્રિના સુમારે સારવારમાં મૃત્યુ નીપજ્યું હતુ. આ અંગે હોસ્પિટલ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કરૂણાંતિકાની ઉપલબ્ધ માહિતી મુજબ પાલિતાણા શહેરના ભીલવાડા વિસ્તારમાં રહેતાં અને ડોળીવાળાનું કામ કરી પરિવારનો જીવનગુજારો કરતાં જગદીશભાઈ બચુભાઈ રાઠોડ (ઉવ.રપ)ના ગઈકાલ તા.ર૯/૧૧ ને ગુરુવારના રોજ લગ્ન થયાં હતા. દરમિયાનમાં લગ્નની પ્રથમ રાત્રિએ જ કોઈ અગમ્ય કારણોસર જગદીશભાઈએ પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટી દીવાસળીની કાંડી ચાંપી દેતાં ભડભડ સળગી ઊઠતાં ગંભીર હાલતે તેમને પ્રથમ પાલિતાણા ખાતેની સર માનસિંહજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખાતેની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રિફર કરાયાં હતા.

જ્યાં બર્ન્સ વોર્ડમાં જગદીશભાઈને દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં ગઈ મોડીરાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં જગદીશભાઈએ અંતિમ શ્વાસ લીધાં હતા. જેના પગલે મૃતક જગદીશભાઈના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.

બીનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતક જગદીશભાઈના મોટાભાઈ મગનભાઈનું પાલિતાણાના પેટ્રોલપંપ નજીક વાહન અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતુ. ત્યારથી જગદીશભાઈ ટેન્શનમાં રહેતાં હતા અને બાદમાં ગઈકાલે તેમણે અંતિમ પગલું ભર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, એક જ પરિવારના બે સગા ભાઈના સમયાંતરે વારાફરતી મૃત્યુ નીપજતાં તેમના માતા શામબેન તથા પિતા બચુભાઈ રાઠોડ ઉપર કઠોર વજ્રાઘાત થયો છે. પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

Next Story