ફળોના રાજા કેરીનો સ્વાદ ચાખવા જોવી પડશે રાહ, ઝાકળના પગલે પાકને વ્યાપક નુકશાન
ગુજરાતમાં છેલ્લા એકદ સપ્તાહથી ઝાકળ પડી રહ્યું છે. જેના કારણે કેરીનાં પાકને ભારે નુકશાની થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. વાતાવરણમાં આવેલા આ ભેજનાં પગલે કેરીનો પાક ખરી રહ્યો છે. આંબે લાગેલા મોર પણ બળી ગયા છે. જેથી ફળોના રાજા કેરીનો સ્વાદ મોંધો પડશે. ખેડૂતોનું માનીએ તો ઝાકળના કારણે કેરીના પાકને 90 ટકા જેટલું નુકશન થવાની શક્યતા છે.
ફેબ્રુવારી મહિનામાં આંબે મોર આવતાની સાથે પાક બેસવાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે ખેડૂતો કેરીના પાક પર મોટો ખર્ચા કરી દવા નાખવાની પ્રક્રિયા હાથ ધરતા હોય છે. પરંતુ કુદરતની થપાટ કહો કે ગ્લોબલ વોર્મિંગની અસર પણ માર્ચના અંતે ઝાકળ પડચાં પાક ઝરી ગયો છે. અને મોર બળી ગયા છે. જેથી ખેડૂતોને ખર્ચ માથે પડે તેમ છે.
દક્ષિણ ગુજરાતની કેસર, રાજાપુરી સહિતની કેરીની દેશ-વિદેશમાં માંગ હોય છે. ત્યારે ઝાકળ પડવાના કારણે થયેલા નુકશાનને પગલે હવે દક્ષિણ ગુજરાતમાં કેરીના એક્સપોર્ટ ઉપર પણ મોટી અસર વર્તાશે. દક્ષિણ ગુજરાતની કેસર કેરી બજારમાં મોડી આવશે. જેના કારણે દક્ષિણ ભારતથી કેરી એક્સપોર્ટ માર્કેટ ઉપર કબજો જમાવી લેશે. જેથી દક્ષિણ ગુજરાતની કેસરને યોગ્ય ભાવ નહિં મળે. જેથી ખેડૂતોને રાતા પાણીઓ ન્હાવાનો વારો આવશે તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે.
અંકલેશ્વરમાં આંબાવાડી સાથે જોડાયેલા ખેડૂત વીરજી મારગીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક તરફ પાણીની સમસ્યા પણ સતાવી રહી છે. બીજી તરફ કુદરતની થપાટ વચ્ચે ઝાકળનું સામ્રાજ્ય આવતાં આંબે લાગેલો મોર બળી ગયો છે. મોંઘા ભાવે ખરીદેલી દવા પણ અમને માથે પડી છે. આ વખતે કેરીની સિઝન ખૂબ નબળી રહેશે.