બનાસકાંઠા : ધાનેરામાં ૧૨ કલાક બાદ પણ મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર, યુવાનની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
બનાસકાંઠાના ધાનેરામાં ટાયર પંચરની દુકાનમાં નોકરી કરતાં સેધા ઠાકોર નામના યુવકે અચાનક આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. મૂળ યુવક બનાસકાંઠાના થરાદ તાલુકાના મેધપુરા ગામનો રહેવાસી હતો. જે ધાનેરામાં નોકરી કરી ધાનેરામાં જ રહેતો હતો. પરતું અચાનક જ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા.
સમગ્ર બનાવ અંગે યુવકના પરિવારજનોને જાણ કરતાં તેઓ તાત્કાલિક ધાનેરા આવી પહોંચ્યા હતા. પરિવારના સભ્યોએ ટાયર પંચરની દુકાન ધરાવતા માલિક પર હત્યાનો આક્ષેપ કર્યો હતા. પરિવારના સભ્યોએ યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. પરિવારના લોકોએ પોલીસની કાર્ય શૈલી પર પણ આશંકાઓ વ્યક્ત કરતાં મૃતદેહ ત્યાં જ મૂકી રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ પોલિસ અને સમાજના વડીલો તેમજ રાજકીય નેતાઓની સાક્ષીમાં પરિવારજનોને પરત બોલાવી સમજાવટનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પરિવારના સભ્યોએ યુવાનનો મૃતદેહ સ્વીકાર્યો ન હતો. સવારથી જ સિવિલ હોસ્પિટલ અને પોલીસ મથકે પરિવારજનોના ટોળા એકઠા થઈ ન્યાયની માંગણી કરી હતી.