બોલિવૂડની ટ્રેજેડી ક્વિન મીના કુમારી
બોલિવૂડમાં ટ્રેજેડી ક્વિન તરીકે જાણીતી થયેલી મીનાકુમારીનું જીવન પણ ટ્રેજેડીથી ભરેલું હતું. મીનાકુમારી એક શ્રેષ્ઠ અને સંવેનદનશીલ અભિનેત્રી હતા. તેમણે ઘણી હિટ ફિલ્મો આપી હતી. જેમાં ‘બૈજુ બાવરા’, ‘પરિણીતા’, ‘આઝાદ’, ‘પાકિઝા’, ‘સહરા’, ‘સાહિબ બીવી ઔર ગુલામ’, ‘મેં ચુપ રહુંગી’, ‘આરતી’, ‘દિલ એક મંદિર’ અને ‘કાજલ’ વગેરેનો સમાવેશ થાય છે.
1963ના ફિલ્મફેર એવોર્ડમાં લીડ રોલ માટે શ્રેષ્ઠ અભિનયના નોમિનેશન માટે માત્ર તેમનું જ નોમિનેશન કરવામાં આવ્યું હતું. એટલેકે શ્રેષ્ઠ અભિનય માટે નોમિનેટ થવાવાળી બધી જ ફિલ્મો મીનાકુમારીની હતી.
મીનાકુમારીનો જન્મ 1 ઓગષ્ટ 1932માં મુંબઇમાં ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ મહેઝબીન બાનુ હતું. મીનાકુમારીઓ પોતાના પરિવારના ભરણપોષણ માટે માત્ર 7 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. મીનાકુમારી શાળામાં અભ્યાસ કરવા માંગતા હતા. પરંતુ તેમનું તે સ્વપ્ન અધુરું જ રહી ગયું. તેમ છતાં તેમનો હિન્દી અને ઉર્દુ ભાષા પર સારું પ્રભુત્વ હતું. તેમણે ઉર્દુ ભાષામાં ઘણી કવિતાઓ લખી છે. જેમાંથી અમુક પબ્લીશ પણ કરવામાં આવી હતી.
મીનાકુમારીએ ફિલ્મ ડાયરેક્ટર કમાલ અમરોહી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પરિણિત અને બાળકોના બાપ એવા કમાલ અમરોહી સાથે તેમનો સંબંધ લાંબો ટક્યો નહી અને તેઓ છૂટા પડ્યા.
તે સમયે મીડિયામાં મીનાકુમારીના ધર્મેન્દ્ર સાથે અને ગુલાઝાર સાથેના સંબંધોની અફવા ઉડી હતી. મીનાકુમારીનું 40 વર્ષનું જીવન દર્દથી ભરેલું હતું. જે તેમની શાયરીઓ અને ફિલ્મોમાં તેમના પાત્રોમાં પણ અનુભવી શકાતુ હતું. પોતાના દર્દથી રાહત મેળવવા મીનાકુમારીએ શરાબનો આશરો લીધો હતો અને વધુ પડતા દારૂના સેવનથી થયેલ લીવર સોરોસિસમાં તેમનું મોત થયું હતું.