ભરૂચના પારખેત ગામની સીમમાં ટીટોડીએ ત્રણ ઇંડા મુકતા ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન
આજના અત્યાધુનિક યુગમાં હજુ પણ વડવાઓના પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરાઓમાં લોકો અડગ વિશ્વાસ ધરાવે છે. પુરાણા યુગમાં વડવાઓ અમુક પક્ષીઓની હિલચાલ પરથી ચોમાસુ કેવું જશે એનું સચોટ અનુમાન લગાવતા હતા. એ પરંપરા આજના અર્વાચીન યુગમાં પણ હજુ પ્રચલિત છે. ભરૂચ તાલુકાના પારખેત ગામની સીમમાં આવેલા અલ્તાફભાઇ પટાવાલાના ખેતરમાં ટીટોડીએ ત્રણ ઇંડા મુકતા ઇંડાની ઇમેજ સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ હતી.
જે સંદર્ભે પારખેતના દાદાના હુલામણા નામથી ઓળખાતા ઇમ્તિયાઝભાઇનો સંપર્ક કરતા તેઓએ ટીટોડીના ઇંડા અલ્તાફભાઇ પટાવાલાના ખેતરમાં હોવાનું જણાવ્યું હતું તેમજ લોકવાયકા તથા વડવાઓના સમયથી ચાલી આવતા અનુમાનોના આધારે તેઓએ ચોમાસુ સામાન્ય રહેવાનું જણાવ્યું હતું. સાંપ્રત હળાહળ કળિયુગમાં કોઇ આગાહી સાચી પડતી નથી પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પારખેત ગામની સીમમાં એક ખેતરમાં ટીટોડીએ મુકેલા ત્રણ ઇંડા ચોમાસાની ગતિવિધિ પર કેવી અસરો છોડશે તે માટે આપણે સૌ એ પ્રતિક્ષા કરવી જ રહી.