ભરૂચમાં ઝૂંપડાવાસીઓને મસ્જિદમાંથી મળ્યું પાણી, મુસ્લિમ બિરાદરોએ દાખવી માનવતા
સમગ્ર ભરૂચ જિલ્લામાં ભર ઉનાળે પીવાના પાણી માટે લોકોએ વલખાં મારવાં પડે છે.
ત્યારે ભરૂચના વોર્ડ નંબર 8 માં આવેલી ન્યુઆનંદ નગર સોસાયટીમાં ઝૂંપડાવાસીઓને પીવાનું પાણી મળી રહે તે માટે મસ્જિદના સંચાલકોને આજીજી કરતા ઝૂંપડાવાસીઓને પીવાનું પાણી પુરું પાડવાની ખાતરી આપી હતી. જે બાદ તેમણે લોકોને પાણી પુરૂં પાડી માનવતા દાખવી છે.
વોર્ડ નંબર 8 માં આવેલ ન્યુ આનંદ નગર સોસાયટીની પાછળ ઝુંપડપટ્ટી વિસ્તારનાં રહીશોને પાણી માટે કોઈ વિકલ્પ ઉપલબ્ધ નહોતો. છેલ્લા એક અઠવાડિયાથી નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો બંધ કરી દેવાતાં પાણી વિના તરસતા ઝૂંપડાવાસીઓએ ન્યુ આનંદ નગર સોસાયટીના મસ્જિદના સંચાલકોને પાણી પુરવઠો આપવા માટે આજીજી કરતા મસ્જિદના સંચાલકોએ ઝૂંપડાવાસીઓને પીવાનું પાણી પુરુ પાડ્યું હતું.
બીજી તરફ ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીવેરો, સફાઈવેરો સહિત અનેક વેરાઓ સોસાયટીના રહીશો પાસેથી વસુલવામાં આવે છે. છતાં પાલિકા દ્વારા વેરા મુજબ પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો નથી. જેથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે માનવસેવા એ જ પ્રભુ સેવાને ચરિતાર્થ કરતા મુસ્લિમ બિરાદરોએ આદિવાસી ઝૂંપડાવાસીઓને મસ્જિદમાં રહેલા બોર્ડમાંથી પાણીનો પૂરવઠો પૂરો સામાજિક એકતાનો સંદેશો પાઠવ્યો છે.