ભરૂચમાં PMની કલાકની સભા માટે છાત્રોની 3 મહિનાની મહેનત પર ફેરવાયું જેસીબી
ભરૂચમાં આઠમી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા માટે કૃષિ યુનિવર્સીટીના મેદાન ખાતે તૈયાર થયેલો પાક કાપી નાખવામાં આવતાં છાત્રોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. એક કલાકની સભા માટે 3 મહિનાની મહેનત બાદ ઉગાડેલા કપાસ તથા શાકભાજીના છોડ પર જેસીબી ફેરવી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેકટર ને લેખિત ફરિયાદ કરી છે.વડાપ્રધાન એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરી રહયાં છે તો બીજી તરફ ખેડૂતો માટે નવી ટેકનોલોજી માટે સંશોધન કરી રહેલાં છાત્રોની મહેનત પર પાણી ફેરવાઇ રહયું છે. ભાડભુત નજીક નર્મદા નદીમાં બની રહેલાં વિયર કમ કોઝવેના 4,500 કરોડ રૂપિયાના પ્રોજેકટનું આઠમી ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ભરૂચમાં જાહેરસભાને પણ સંબોધિત કરવાના હોવાથી મકતમપુર સ્થિત કૃષિ યુનિવર્સીટીના મેદાન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કૃષિ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેમના સંશોધન અને પ્રેકટીકલ વર્ક માટે વિશાળ ખેતરમાં ત્રણ મહિનાની મહેનત બાદ કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. વડાપ્રધાનની સભાને અનુલક્ષી ખેતરમાં તૈયાર થયેલાં પાક પર જેસીબી ફેરવી દેવાતાં વિદ્યાર્થીઓ સમસમી ઉઠયાં છે. તેમના જણાવ્યા અનુસાર તેમના પ્રેકટીલ તથા સંશોધન માટે આ જમીન બહુ ઉપયોગી છે. આ સેન્ટરમાંથી ખેડૂતોને અદ્યતન બિયારણ પણ આપવામાં આવે છે ત્યારે વિકાસના નામે થઇ રહેલા વિનાશ માટે જવાબદાર કોણ? તેવા સવાલો વિદ્યાર્થિયો એ ઉઠાવ્યા છે.અગાઉ માર્ચ મહિના માં પણ આવીજ પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યાં મોદી ની સુરક્ષા વ્યવસ્થા માટે મેદાન પર ઉભો પાક કાપી નાખી ત્યાં હેલિપેડ બનાવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં મોદીની જાહેરસભા દરમિયાન યુનિવર્સીટીના એક ખેતરમાં હેલીપેડ બનાવાયાં હતાં. સભાના મહિનાઓ બાદ હેલીપેડ તોડી ખેતરને સમતળ કરવામાં આવ્યું હતું અને હવે ફરીથી તે સ્થળે હેલીપેડ બનાવાઇ રહયાં છે. જેથી જમીન ની ઉપજ પર પણ ખતરો છે. વિદ્યાર્થિયોએ કામગીરી તાત્કાલિક બંધ કરાવા માંગણી કરી હતી.