ભરૂચ : કોવીડના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયંસેવકો હવે થાકયાં, જુઓ શું છે કારણ
ભરૂચ ખાતે બનાવવામાં આવેલાં રાજયના એક માત્ર કોવીડ-19 સ્મશાનગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર અટકી જાય તેવા સંજોગો ઉભા થયાં છે. પાલિકા દ્વારા પુરતી સુવિધા આપવામાં નહિ આવતાં અંતિમ સંસ્કારની કામગીરી કરતાં સ્વયંસેવકો હવે કંટાળી ગયાં છે…
ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે આવેલાં કોવીડ સ્મશાન ખાતે તમને 24 કલાક ચિત્તાઓ સળગતી જોવા મળે છે. વહીવટીતંત્ર ભલે કોવીડથી મૃત્યુના આંકડા જાહેર ન કરતુંં હોય પણ ચિતાઓ તમને બતાવી રહી છે કે કોરોનાથી ભરૂચમાં કેટલા લોકો મરી રહયાં છે. કોવીડ- 19થી મૃત્યુ પામતા લોકોના અંતિમ સંસ્કાર માટે ભરૂચ નગરપાલિકા અને ખાનગી સંસ્થા સાથે કરાર થયો છે. નગરપાલિકાએ ડ્રાયવર સહિત 5 સ્વયંસેવકોની ફાળવણી કરી છે અને તેમને 6 હજાર રૂપિયાનું વેતન ચુકવવામાં આવે છે. કોવીડના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, હવે રોજના 5 થી વધારે મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહયાં હોવાથી જગ્યા નાની પડી રહી છે. આ ઉપરાંત શેડ લાંબો કરવા અને સ્વયંસેવકોનું વેતન વધારવા વારંવાર રજુઆત કરાય છે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો પાલિકા યોગ્ય પગલાં નહિ ભરે તો કોવીડના મૃતદેહોના અંતિમ સંસ્કારની કામગીરી બંધ કરી દેવાશે