ભરૂચ જિલ્લાબા ભાડભૂતના દરીયાકાંઠે ૩૦૦ જેટલી બોટોના થયા ખડકલા
ભરૂચ કલેકટર દ્વારા દરેક દરિયાઇ કાંઠા ઉપર માછીમારોને ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી દેવાતા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. તા.૧૨ થી ૧૫ જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના સહિતના તમામ બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને દહેજ,ભાડભૂતના દરિયા કાંઠાને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ભરૂચ જિલ્લાના ભાડભૂતના દરીયાકાંઠા પર ૩૦૦ જેટલી બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. વાયુ વાવાઝોડું આજથી લઈને ૧૪ તારીખ સુધીમાં ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોને ઘમરોળશે ત્યારે તંત્ર પણ સતર્ક બની ગયું છે. અને ભાડભૂતનો દરીયાકાંઠો બોટોના ખડકલાથી ઉભરાઇ ગયો છે.
એક તરફ માછીમારોને દરિયો ન ખેડવા અપાયેલા સૂચના પગલે તેમની તમામ બોટો કિનારે લાંગરી દેવાતા મચ્છીમારી પર નભતા પરિવારોના માથે સંકટના વાદળ ઘેરાયા છે. તેમને ભયની સાથે રોજીરોટી થી હાલ તો વંચીત રહેવાનો વારો આવ્યો છે.