ભરૂચ : મામાની હત્યા કરનાર ભાણેજ ઝડપાયો
ભરૂચના ભોલાવ વિસ્તારમાં કચરો વીણવાની બાબતના ઝઘડામાં વચ્ચે પડનાર મામાને ભાણીયાએ માર મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના બહાર આવી છે. સી–ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા ભાણીયાને ઝડપી પાડી તેની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની જે.પી. કોલેજની સામે સતનામ નગરમાં મકાન નં.૩ના ધાબા ઉપર ઝુપડું બાંધીને રહેતા નિલેશ બધાભાઇ ભુરીયા કચરો વીણી–વેચી પોતાનું ગુજરાત ચલાવે છે. ઉત્તરાયણની રાતે નિલેશ ભુરીયાનો કચરો વીણવાની બાબતે તેના સગા માસા શાંતુ સાથે ઝઘડો થયો હતો. જેમાં નિલેશ લોખંડની પાઇપ લઇ માસા શાંતુને મારવા જતા તેના મામા રાજેશ લાલુભાઇ રણા વચ્ચે છોડાવવા પડયા હતા. જેમાં ભાણીયા નીલેશે તેના મામાને ગાળો આપતા તેમણે ભાણેજને ગાળો બોલવાની ના પાડી હતી. જેના પગલે ઉશ્કેરાયેલા ભાણેજ નીલેશે મામા રાજેશભાઇ રણાના છાતી, પેટ અને ગુપ્તાંગના ભાગે ઉપરા–છાપરી લાતો મારતા તેઓ નીચે પડી ગયા હતા.
ભુરીયાએ જમીન પર પડી રહેલા મામાની છાતી પર બેસી જઇ ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભાણીયાએ મામાનું ઢીમ ઢાળી દેતા સતનામ નગરમાં સનસનાટી ફેલાઇ જવા પામી હતી. હત્યાના ગુનામાં સી–ડિવિઝન પોલીસને જાણ થતા તેમણે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારા નિલેશ ભુરીયાને ઝડપી પાડી જેલભેગો કર્યો હતો.