ભરૂચ : માલજીપુરા ગામે લગ્નમાં નાચવા બાબતે થઈ મારામારી, ચપ્પુના ઘા ઝીંકાતા 1 યુવકનું મોત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે લગ્નમાં નાચવાની બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ચપ્પુના ઘા વાગતા એક યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઝઘડિયા
તાલુકાના માલજીપુરા ગામે દિનેશ નટવર વસાવાના ઘરે તેમની પુત્રીના લગ્ન હતા. લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું, ત્યારે ગામના
જુવાનિયા નાચતા હતા. જેમાં માલજીપુરા ગામનો ભદ્રેશ દેવનજી વસાવા, કરુણ વસાવા, રણજિત વસાવા, કુંજન વસાવા પણ નાચતા હતા, ત્યારે નાચતા સમયે
ધક્કામુક્કી થઇ હતી. જેથી કુંજન વસાવા ભદ્રેશને ગાળો બોલી દૂરથી નાચ તેમ કહ્યું
હતું. જેથી ભદ્રેશે જણાવ્યું હતું કે આ બધા નાચે છે એટલે હું પણ નાચું છું. તેમ
કહેતા કુંજન વસાવા ભદ્રેશ પર ગુસ્સે થઇ ગયેલ અને તેને બે લાફા મારી ઝઘડો કર્યો
હતો. તેથી ભદ્રેશના પિતા અને તેનો ભાઈ રાકેશ વસાવા વચ્ચે પડી મારામારી કરતાં
છોડાવ્યા હતા.
ઉપરાંત ભદ્રેશ તેના મિત્રના ઘરની
બહાર બેઠો હતો અને તેનો ભાઈ રાકેશ તેના મિત્ર નવીનના ઘરમાં ટીવી જોતો હતો, તે દરમ્યાન
કુંજન વસાવા ઘરમાં જઈ રાકેશને કહ્યું હતું કે, તે મારી
સાથે લગ્નમાં નાચવા બાબતે કેમ ઝઘડો ગમે તેમ ગાળો કેમ બોલી હતી. ત્યાર બાદ રાકેશ
સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં કુંજને રાકેશને ઘરની બહાર ખેંચી લાવી તેને
છાતીના ભાગમાં ચપ્પુ મારી દીધું હતું. ચપ્પુનો ઘા થતા રાકેશ જમીન પર ઢળી પડ્યો
હતો. જેમાં રાકેશને તાત્કાલિક ખાનગી વાહનમાં ઝઘડિયા સેવા રૂરલ ખાતે સારવાર અર્થે
લઇ ગયા હતા, પરંતુ રાકેશને સારવાર મળે તે પૂર્વે જ હાજર
તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટના બાબતે ભદ્રેશ દેવનજી વસાવાએ
માલજીપુરાના રહેવાસી કુંજન કેસુર વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે હત્યાના આરોપી કુંજન વસાવાની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા
છે.