ભરૂચ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જન્મ જયંતિ, સ્ટેચ્યું પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
ભરૂચ શહેરના સ્ટેચ્યું પાર્ક ખાતે નગરપાલિકા દ્વારા 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે, જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, 2જી ઓક્ટોબર રોજ તેમનો જન્મ દિવસ હોવાથી દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જોકે આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.
ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે. આ દિવસને ગાંધીજી પ્રત્યે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે, ત્યારે 2જી ઓક્ટોબરના રોજ અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરના સ્ટેચ્યું પાર્ક ખાતે નગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, મુખ્ય અધિકારી સંજય સોની સહિતના આગેવાનો તેમજ સ્થાનિક નગરસેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.