ભાગદોડ વાળી જિંદગીમાં તણાવ ને દૂર કરવા સંગીત જરુરીઃ ભજન ગાયિકા ગીતાંજલિ રાય
ભાગદોડ અને તણાવથી મુક્ત થવા માટે સંગીત જરૂરી છે, આઘ્યાત્મિક સંગીત તરફના પ્રયાણે દેશ વિદેશમાં સત્સંગને ખૂણે ખૂણે પહોંચાડવાની પ્રેરણા મળી હોવાનું ભજન ગાયિકા ગીતાંજલિ રાયે જણાવ્યુ હતુ.
અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ ઓમકાર એક્ષોટીકા ખાતેના શ્રી સિધ્ધીવિનાયક મંદિર ખાતે ગણેશ મહોત્સવના પાવન અવસર પ્રસંગે ઓમકાર ગ્રુપ દ્વારા તારીખ 10 શનિવારની રાત્રીએ ભજન સંધ્યાના ભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓને ભજન સંગીતના મધુર રસથી ભજન ગાયિકા ગીતાંજલિ રાય તરબોળ કરશે.
અંકલેશ્વરમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં દેશ વિદેશમાં સુપ્રસિધ્ધ ભજન ગાયિકા ગીતાંજલિ રાયે જણાવ્યુ હતુ કે મુંબઈમાં M.A સાયકોલોજીના અભ્યાસ બાદ ગઝલથી તેઓએ સંગીતની શુરૂઆત કરી હતી. આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાઈને અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં આવ્યા બાદ તેઓની દિવ્ય પ્રેરણાથી ગઝલમાંથી ભક્તિ સંગીત તરફ પ્રયાણ કર્યું હતુ. તેમજ આધ્યાત્મિક સંગીત થકી તેઓને દેશ વિદેશમાં ખુબ સારી ઓળખ મળી જે બદલ ગીતાંજલિ રાયે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
ભજન સંગીતની સૂર સામ્રાજ્ઞી ગીતાંજલિ રાયે વધુમાં જણાવ્યુ હતુ કે પૃથ્વી પર મનુષ્યનો જન્મ યજ્ઞની આહુતિ માટે થયો છે એટલે કે કલા, સામાજિક સેવા કે પછી રાજકીય સેવા સહિત જીવનમાં નિશ્ચિત થઈને જ આવે છે અને કોઈ પણ સ્વરૂપે જીવનમાં મનુષ્યો આહુતિ આપે છે. ભાગદોડ અને તણાવથી મુક્ત થવા માટે સંગીત એ આરાધના હોવાનું જણાવ્યુ હતુ. વધુમાં ગીતાંજલિ રાયે ગુજરાત અને ગુજરાતી લોકોથી પણ તેઓ ખુબ પ્રભાવિત હોવાનું જણાવ્યુ હતુ.