ભારતનાં દરેક રાજ્યમાં આદિવાસીઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરતા પીએમ મોદી
ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાનાં ચંદ્રવાણ ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ગરીબો માટે કરેલા કામો અંગેનો હિસાબ આપ્યો હતો. વધુમાં મોદીએ દેશનાં દરેક રાજ્યમાં આદિવાસીઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવાની જાહેરાત પણ કરી હતી.
નેત્રંગમાં પીએમ મોદીએ સભાને સંબોધીને જણાવ્યુ હતુ કે ભગવાન રામના જમાનામાં પણ આદિવાસી સમાજ હતો, મહાભારત વખતે હતો, શિવાજી મહારાજ વખતે, રાણા પ્રતાપ, આઝાદીની લડાઇ વખતે હતો, આ કોંગ્રેસ પાર્ટી 50 વર્ષ રાજ કર્યું પણ તેમને આદિવાસી મંત્રાલય ન બનાવ્યું.આદિવાસીઓ માટે અલગ બજેટ ન બનાવ્યું. આદિવાસી મંત્રી અલગ હોય એની વ્યવસ્થા ન કરી. આઝાદીના છ દાયકા પછી અટલજીની સરકાર બની, ભાજપની સરકાર બની ત્યારે પહેલીવાર આ દેશેમાં આદિવાસીઓનું અલગ મંત્રાલય, અલગ બજેટ અને સાંસદમાં આદિવાસીઓના વિકાસની ચર્ચા થઇ. કોંગ્રેસ કયા મોઢે આદિવાસી અને ગરીબોની વાતો કરે છે.
મોદીએ જણાવ્યુ હતુ કે આઝાદીનાં 70 વર્ષ પછી પણ 25 કરોડ કૂંટુબમાં 4 કરોડ કૂંટુબ એવા છે, જેમના વિજળી નથી. આ અમીરો છે કે ગરીબો. મોદી સરકારે સંકલ્પ કર્યો છે. આ ચાર કરોડ કુટુંબોમાં મફતમાં વિજળીનું કનેક્શન આપી દેવામાં આવશે. પહેલા તમારે વિજળીનું કનેક્શન લેવું હોય તો ગરીબોની સરકાર શું કરતી હતી. તમારા ઘર સુધી થાંભલા, દોરડા, મીટર નાંખવાનો ખર્ચ તમારો. ક્યાંથી ગરીબો વિજળી નંખાવે.
વધુમાં તેઓએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિને જમીન આપવાનાં આક્ષેપનો જવાબ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે વામન ભગવાને ત્રણ ડગલામાં આખી પૃથ્વી માપી લીધી હતી. હમણા એક એવા નેતા ફરે છે, તેમણે એવું કહ્યું કે, મોદીએ એક ઉદ્યોગપતિને આટલી જમીન આપી દીધી. એ આકંડો બોલ્યા છે. તે ત્રણ પૃથ્વી ભેગી કરીએ એટલો થાય. જેમણે પ્રાથમિક નોલેજ નથી. હવે એમણે આપણે શું કહેવું ? રડવું કે હસવું ખબર નથી પડતી ?
ભારતના દરેક રાજ્યમાં આદિવાસીઓએ આઝાદીની લડતમાં ભાગ લીધો છે, તેમનું મ્યુઝિયમ બનાવવામાં આવશે. ગુજરાતમાં પણ આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.