ભારતીય રેલવેની વેબસાઇટ પર પ્રવાસીઓને ક્રેડિટ પર મળશે ટિકિટ
ભારતીય રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનના પ્રવસીઓ માટે એક નવી સુવિધા વિકસાવવામાં આવી છે. જેમાં હવે યાત્રીઓ યાત્રાના પાંચ દિવસ અગાઉ ક્રેડિટ પર રેલવે ટિકિટ બુક કરાવ્યા બાદ ૧૪ દિવસની અંદર પેમેન્ટ કરી શકે છે. જોકે આ માટે પ્રવાસીએ ૩.૫ ટકા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.
આ વ્યવસ્થા માટે આઈઆરસીટીસીએ મુંબઈની એક કંપની ઈપેલેટર સાથે સમજૂતી કરી છે.આઈઆરસીટીસીના સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે આ સેવા યાત્રીઓને રૃપિયાની ચિંતા કર્યા વગર તુરત ટિકિટ બુક કરાવવાની સુવિધા આપે છે. ૫૦ લોકો આ સેવાનો ઉપયોગ કરી ચૂક્યા છે.જો તમે પેસેન્જર ટિકિટ બુક કરાવ્યાના ૧૪ દિવસની અંદર રૃપિયા નહીં ચૂકવો તો આઈઆરસીટીસી તેના પર પેનલ્ટી લગાવશે. જે લોકો વારંવાર પેમેન્ટ કરવા માટે આનાકાની કરશે તો તેમને આ સુવિધાથી કાયમ માટે વંચિત કરી નાખવામાં આવશે.
આઈઆરસીટીસીથી ટિકિટ બુક કરાવનાર કોઈ યુઝરને કેટલા રૃપિયા સુધીની ટિકિટ ઉધાર આપી શકાય તેનો નિર્ણય તેની ક્રેડિટ હિસ્ટ્રી, ડિજિટલ ફૂટ પ્રિન્ટ, ડિવાઈસ ઈન્ફર્મેશન અને ઓનલાઈન પરચેઝ પેટર્ન પર આધારિત રહેશે.