ભારત અને ઈરાન વચ્ચે થયા 9 મહત્ત્વનાં કરાર
ઈરાનનાં રાષ્ટ્રપતિ હસન રૂહાની ત્રણ દિવસીય ભારત પ્રવાસનાં અંતિમ દિવસે નવી દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યુ હતુ. હસન રૂહાનીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ આપી હતી. તેના બાદ બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. ત્યાર બાદ મહત્વની સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત-ઈરાન દ્વિપક્ષીય ચર્ચા પર વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે બન્ને દેશો વચ્ચે નવ સમજૂતી થઈ છે. તેના સિવાય ચાર સહમતિ પત્રો પર પણ હસ્તાક્ષર થયા છે. વિદેશ પ્રવક્તાએ જણાવ્યું કે ભારત-ઈરાન વચ્ચે સંપર્ક, ઉર્જા, વ્યાપાર અને ઈનવેસ્ટમેન્ટ પર મહત્વની ચર્ચા થઈ હતી.
હૈદરાબાદ હાઉસમાં રાષ્ટ્રપતિ રૂહાની અને પીએમ મોદીની ઉપસ્થિતીમાં થયેલી બેઠકમાં બન્ને દેશો વચ્ચે મહત્વના કરાર પર હસ્તાક્ષર થયા. તેમાં ડબલ ટેક્સેશન, કૃષિ સહિત અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા મુદ્દાઓ પર સમજૂતી થઈ છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ રૂહાનીની ભારત યાત્રાથી બન્ને દેશો વચ્ચે સંબંધ મજબુત બનશે. પીએમએ કહ્યું કે આતંકવાદ અને ઉગ્રવાદ રોકવા માટે બન્ને દેશ સાથે છે, સાથે ઈરાને કહ્યું છે કે ભારતીય માટે વિઝાના માપદંડોને સરળ બનાવવા માટે મદદ કરશે જેથી લોક સંબંધોમાં સુધાર કરી શકાય.