ભાવનગર: જુગારધામ બન્યુ રૂપિયા ૧૦ કરોડનું ગાર્ડન!
બાગમાં ૩ શિફ્ટમાં ચોકીદાર પહેરો ભરે છે.
ભાવનગર શહેરની મધ્યે આવેલ પીલગાર્ડન એટલે કે સરદારબાગનાં નવીનીકરણ પાછળ રૂપિયા 10 કરોડ જેવો જંગી ખર્ચ કરાયો છે. પરંતુ હવે તેની જાળવણી પ્રત્યે બેદરકારી દાખવાઈ રહી છે. પીલગાર્ડનમાં હાલ મોટા ભાગની લાઈટો બંધ છે. જ્યારે જુગારીઓ માટે બાગ અડ્ડા સમાન બન્યો છે. થોડા દિવસ પૂર્વે પોલીસે સરદારબાગની અંદર બાજી માંડી બેઠેલા જુગારીઓને પકડ્યા હતા. છતાં કોર્પોરેશને આ કિસ્સામાં કોઈ પણ જવાબદાર સામે કાર્યવાહી કરી નથી. આ બાબત એ સૂચવે છે કે બાગની જાળવણી માટે કોઈને રસ નથી.
સરકારે સરદાર બાગનાં નવીનીકરણ માટે ભારે રસ દાખવાયો હતો. તો હવે જાળવણી માટે કેમ ધ્યાન અપાતું નથી. બાગમાં ૩ શિફ્ટમાં ચોકીદાર પહેરો ભરે છે તેમ તંત્રનું કહેવું છે. તો જુગારીઓને કોઈ રોકતું કેમ નથી. આમને આમ ચાલ્યું તો નગરજનો આવતા બંધ થઈ જશે. કરોડોના ખર્ચ પછી પણ ભવ્ય દરવાજા ખોલાતા નથી. આ ઐતિહાસિક ઇમારતનું તંત્રને મન કોઈ મૂલ્ય જ જણાતું નથી.
જે આ વાતની સાબીતી આપે છે. હાલમાં મોળાકાતનું વ્રત ચાલે છે. ત્યારે જાગરણના દિવસોમાં જ પિલગાર્ડનની ૯૦% લાઈટ બંધ હોવાની ફરિયાદ કમિશનર સુધી થઈ છે. આખરે ગાર્ડન સુપ્રિ. શું કામગીરી કરી રહ્યા છે? તે પ્રશ્ન વળી વળીને ઉઠી રહ્યો છે. સરદારબાગનાં નવીનીકરણ માટે ભારે રસ લેનાર પદાધિકારી હવે પીલગાર્ડનની જાળવણી માટે કેમ હવે રસ રહ્યો નથી.