ભુજમાં વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટથી ચકચાર
કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં ભુજમાં વેપારી પર હુમલો કરી 10 લાખની સનસનીખેજ લૂંટથી ચકચાર ફેલાઈ છે.
ભુજના ભાનુશાલી નગરમાં ભવનાથ મહાદેવ મંદિર પાસે બાઇક પર આવેલા ત્રણ બુકાનીધારી શખસોએ લૂંટ ચલાવી હતી. મહેરઅલી ચોકમાં બીડી,સિગારેટનો હોલસેલનો વ્યવસાય કરતા વેપારી રેવાશંકરભાઈ કારીયા પોતાના ઘરે ભાનુશાલી નગર જતા હતા. ત્યાં મંદિર પાસે બાઇક પર આવેલા શખશોએ તેમને આંતરી થેલો લૂંટવા ઝપાઝપી કરી હતી હુમલો કરી થેલો લૂંટી તસ્કરો ભાગી ગયા હતા.
હોલસેલર વેપારીના હાથમાંથી રૂ.10 લાખની રોકડ ભરેલો થેલો ઝુંટવી તસ્કરો ફરાર થઈ જતા પોલીસે નાકાબંધી ગોઠવી સીસીટીવી ફૂટેજ મેળવવા સાથે તેઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.આ બનાવ પાછળ જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે. ગત રાત્રે બનેલી ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.