મુંદ્રામાં અદાણીના પાવર પ્લાન્ટમાં ગરમ પાણીની પાઇપલાઇન ફાટતા 21 ઘાયલ, 1નું મોત
અદાણીના મુંદ્રા ખાતેના પાવર પ્લાન્ટમાં બોઇલરને સંલગ્ન પાઇપલાઇન ફાટતા દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 21 લોકો દાઝી ગયા હતા. જેમાંથી 1નું મોત થયું હોવાનું તેમજ અન્ય 8ની સ્થિતી ગંભીર જણાવાઇ રહી છે.
આ દુર્ઘટનામાં સામાન્ય ઇજા પામેલા કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે ગંભીર રીતે દાઝેલા 13 લોકોને વધુ સારવાર અર્થે અમદાવાદની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ ખસેડાયેલા કર્મચારીઓમાંથી એકનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું. હજી 8 કર્મચારીઓની સ્થિતી ગંભીર જણાવાઇ રહી છે.
મુંદ્રામાં પાવર પ્લાન્ટના નવમાંથી એક યુનિટમાં બોઇલરને જોડતી ગરમ પાણીની પાઇપલાઇન ફાટી હતી. તે સમયે ત્યાં 21 કામદારો કામ કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ આ યુનિટને બંધ કરી દેવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે નિષ્ણાતોની એક ટીમ ઘટનાની તપાસ કરી રહી છે જે 10 દિવસ બાદ પોતાનો રિપોર્ટ સબમિટ કરશે.